શેખ હસીનાને ચૂપ કરાવો નહીંતર...: મોહમ્મદ યુનુસે ફરી ભારતને આપી ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Muhammad Yunus : બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે શેખ હસીનાની ટિપ્પણીઓ પર ફરી એક વાર નિશાન સાધ્યું છે. આ દરમિયાન તેમણે ભારત માટે પણ ચીમકી આપતા શબ્દો ઉચ્ચાર્યા છે. તેમણે ભારતમાં રોકાયેલા શેખ હસીનાની રાજકીય ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી આવા નિવેદનોને ભારત સાથે એક 'અમૈત્રીપૂર્ણ સંકેત' ગણાવ્યો છે. તેમણે ભારતને બંને દેશો વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરી શેખ હસીનાને ચૂપ કરાવવા જણાવ્યું છે.
શું કહ્યું મોહમ્મદ યુનુસે?
મીડિયા એજન્સી સાથે વાત કરતાં યુનુસે કહ્યું કે, 'પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ભારતમાં બેસી જે પ્રકારની રાજકીય ટિપ્પણીઓ કરી રહી છે તે અયોગ્ય છે. જ્યાં સુધી બાંગ્લાદેશ ભારત સાથે તેમના પ્રત્યાર્પણ અંગે વાત ન કરે, ત્યાં સુધી હસીનાએ ચૂપ રહેવું જોઇએ. આ ભારત સાથે પણ એક અમૈત્રીપૂર્ણ સંકેત છે. બંને દેશો વચ્ચે સંબંધ હવે નીચલા સ્તરે છે. ભારતે શેખ હસીનાને ચૂપ કરાવવા જોઇએ નહીંતર આ સંબંધો વધુ લથડી શકે છે.'
શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી અંગે નિવેદન આપ્યું
શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી પર વાત કરતાં તેમણે કહ્યું કે, 'જો ભારત શેખ હસીનાને ત્યાં સુધી પોતાની પાસે રાખવા માંગે છે જ્યાં સુધી બાંગ્લાદેશ સરકાર તેમને પરત ન બોલાવે, તો ભારતે શેખ હસીનાને ચૂપ કરાવવું પડશે. તેમને ત્યાં (ભારત) આશ્રય આપવામાં આવ્યું છે અને તેઓ ત્યાંથી પ્રચાર કરી રહ્યા છે. તે (હસીના) સામાન્ય સંજોગોમાં ત્યાં નથી ગયા, લોકોના વિદ્રોહ અને ગુસ્સા બાદ દેશ છોડી દીધું છે. હવે તે ત્યાં બેસીને નિવેદન આપે આ કોઇને ગમતું નથી. આ અમારા અને ભારત માટે સારૂં નથી. શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવી તેમના પર સૌની સામે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે.'
બંને દેશોના સંબંધ વિશે શું બોલ્યા?
મોહમ્મદ યુનુસે આ દરમિયાન કહ્યું કે, બાંગ્લાદેશ ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને મહત્ત્વ આપે છે, પરંતુ નવી દિલ્હીએ આવામી લીગ સિવાયના તમામ રાજકીય પક્ષોને ઇસ્લામિક રૂપમાં દર્શાવતી વિચારધારાથી આગળ વધવું જોઇએ. બંને દેશો વચ્ચે સંબંધ હાલ નીચલા સ્તરે છે જેને સુધારવા માટે બંને દેશોએ મળીને કામ કરવાની જરૂર છે.




