Get The App

INSTC કોરિડોર પર ઈઝરાયલ-USનો હુમલો! ભારત-રશિયાના 100 બિલિયન ડોલર પ્રોજેક્ટને ઝટકો

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
INSTC કોરિડોર પર ઈઝરાયલ-USનો હુમલો! ભારત-રશિયાના 100 બિલિયન ડોલર પ્રોજેક્ટને ઝટકો 1 - image
 Google MAP

Bandar Anzali: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી રીતે ભારતના આર્થિક હિતો પર પડી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના વ્યૂહાત્મક બંદર શહેર 'બંદર-એ-અંજલી' (Bandar Anzali) પર કરવામાં આવેલા એરિયલ એટેકે ભારત અને રશિયા વચ્ચેના ભવિષ્યના વેપાર પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. આ હુમલો માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ ભારત માટે સેન્ટ્રલ એશિયાના પ્રવેશદ્વાર ગણાતા 'ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર' (INSTC) ના કેન્દ્ર પરનો પ્રહાર છે.

શું છે ભારતનું 100 અબજ ડોલરનું પ્લાનિંગ?

ભારત અને રશિયાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર (આશરે 9 લાખ કરોડ રૂપિયાથી વધુ) સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે 7,200 કિલોમીટર લાંબો INSTC કોરિડોર અત્યંત મહત્વનો છે. જે મુંબઈને સેન્ટ પીટર્સબર્ગ સાથે જોડે છે. આ રૂટ સ્વેઝ નહેરના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવ્યો છે. જે માલસામાન પહોંચાડવાનો સમય 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દે છે. બંદર અંજલી આ પ્રોજેક્ટની મુખ્ય કડી છે. જેના પર 18 માર્ચના રોજ થયેલા હુમલામાં કસ્ટમ હાઉસ સહિતના માળખાગત ઢાંચાને ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો : હોર્મુઝમાં હવે આરપારની જંગ! ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી

ભારતના હિતો પર સીધો પ્રહાર

આ અગાઉ ચાબહાર પોર્ટ પર પણ હુમલાની ઘટનાઓ બની હતી. જ્યાં ભારત મોટું રોકાણ કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, બંદર અંજલી પરના હુમલાથી આ કોરિડોરની વિશ્વસનીયતા ઘટશે અને વીમા તેમજ Freight ના દરોમાં મોટો ઉછાળો આવશે. મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર રેનાત કરામુર્ઝોવે ચેતવણી આપી છે કે, અત્યાર સુધી સુરક્ષિત ગણાતા આ રૂટ પર જોખમ વધવાથી મધ્ય એશિયાના દેશોના વેપારને પણ માઠી અસર થશે.

પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા

વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ ખાડી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી છે અને દરિયાઈ માર્ગોની સુરક્ષા તેમજ અવરોધ વિનાની અવરજવર પર ભાર મૂક્યો છે.

વાજપેયી સરકારના સમયનો મહત્વનો કરાર

નોંધનીય છે કે ભારત, ઈરાન અને રશિયા વચ્ચે વર્ષ 2000માં અટલ બિહારી વાજપેયી સરકારના સમયમાં આ બહુપક્ષીય INSTC કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રશિયાના નાયબ વડાપ્રધાન વિતાલી સવેલિયેવે તાજેતરમાં જણાવ્યું હતું કે, 2025ના અંત સુધીમાં આ માર્ગે 7.5 મિલિયન ટનથી વધુ કાર્ગોનું પરિવહન કરવાનું લક્ષ્ય હતું, પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિ આ પ્રોજેક્ટ માટે મોટો પડકાર બની ગઈ છે.

રશિયાની આકરી પ્રતિક્રિયા

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ હુમલાને ગેરજવાબદાર ગણાવતા કહ્યું છે કે આનાથી સંઘર્ષનો વ્યાપ વધી શકે છે અને કેસ્પિયન ક્ષેત્રના દેશો પણ આની લપેટમાં આવી શકે છે.