Balochistan Violence : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી ‘ઑપરેશન હેરોફ’ (Operation Herof) શરૂ કર્યા બાદ પ્રદેશના અનેક શહેરોમાં ભારે હિંસા અને સેના સાને ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાના કારણે પાકિસ્તાની સેના અનેક પડકારો સહિત બીએલએના હુમલાનો સામનો કરી રહી છે. છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી હિંસા અને ઘર્ષણ વચ્ચે અનેક લોકોના મોત થયા હોવાના અને બીએલએએ અનેક શહેરો પર કબજો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
BLA વધુ 12 શહેરો પર કબજો કર્યો
મીડિયા અહેાલો મુજબ પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ‘ઑપરેશન હેરોફ’ (Operation Herof)નો પ્રથમ તબક્કો પુરો કર્યા બાદ બીજા તબક્કામાં રાજ્યના 14થી વધુ શહેરો પર હુમલા કરી બોમ્બ ધડાકા કર્યા છે, તો સેનાઓ પણ વળતો જવાબ આપી મોટાપાયે કાર્યવાહી કરી છે. બલૂચિસ્તાનમાં શુક્રવાર રાતથી હિંસા શરૂ થયા બાદ પ્રદેશના ક્કેટા, ગ્વાદર, મકરાન, હબ, યમન અને નુશ્કી જેવા મુખ્ય શહેરોમાં હિંસાની ઝપેટમાં આવી ગયા છે. બીએલએના બળવાખોરોએ પોલીસ ચોકીઓ, અર્ધસૈનિક દળોના કેમ્પો અને સ્થળો પર હુમલા કરી રહ્યા છે.
18 નાગરિકો, 15 જવાનો, 133 બળવાખોરોના મોત
પાકિસ્તાન અધિકારીઓ અને સુરક્ષા સૂત્રોના રિપોર્ટ મુજબ, માત્ર શનિવારના એક જ દિવસમાં આતંકવાદી હુમલાઓમાં નાગરિકો સહિત કુલ 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 18 નાગરિકો અને 15 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. સેનાની વળતી કાર્યવાહીમાં તે જ દિવસે 92 હુમલાખોરો માર્યા ગયા હતા, જ્યારે છેલ્લા 48 કલાકમાં બલૂચિસ્તાનભરમાં કુલ 133 બળવાખોરોનો ખાતમો કરવામાં આવ્યો છે. મસ્તુંગ જિલ્લામાં જેલ પર હુમલો કરીને બળવાખોરોએ 30થી વધુ કેદીઓને મુક્ત કરાવ્યા હતા. મુખ્યમંત્રી સરફરાજ બુગતીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સુરક્ષા દળો દ્વારા અંદાજે 700 જેટલા બળવાખોરોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હિંસા અને ઘર્ષણમાં અનેક ઘણું નુકસાન થયું છે.
84 પાકિસ્તાની સૈનિકોના મોત : BLAનો દાવો
બીએલએએ હુમલાની જવાબદારી લઈને દાવો કર્યો છે કે, તેમણે 14 શહેરોમાં 48 સ્થળો પર હુમલા કર્યા છે. પ્રવક્તા જયંદ બલોચે દાવો કર્યો છે કે, તેણે નુશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)ના હેડક્વાર્ટર પર કબજો કર્યો છે અને 84 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જોકે પાકિસ્તાની સેનાએ બીએલએના દાવાનો રદીયો આપ્યો છે. બીએલએએ ઓપરેશન હેરોફમાં ‘મજીદ બ્રિગેડ’ના આત્મઘાતી હુમલાખોરો અને મહિલાઓનો ઉપયોગ કર્યો છે.
રેલવે સહિતના માર્ગે ઠપ
બળવાખોરોએ રાજ્યના મહત્ત્વના રસ્તો અને રેલવે લાઈનનો મોટુ નુકસાન કર્યું છે. નસીરાબાદ જિલ્લામાં રેલવે ટ્રેક પર લગાવાયેલા બોમ્બને ડિફ્યૂજ કરાયો છે. હાલ પ્રાંતમાં તમમામ ટ્રેન સેવા બંધ થઈ ગઈ છે. બળવાખોરોએ અનેક સ્થળો પર રસ્તાઓ બંધ કરી દીધા છે અને અહીંથી આવતા જતા તમામ વાહનોની તપાસ કરી બિન-બલૂચ લોગોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બલૂચિસ્તાનમાં હિંસાનું કારણ
એક સ્વતંત્ર થિંક ટેન્ક (CRSS)ના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં 2025માં આતંકવાદી હુમલાઓમાં 34 ટકાનો વધારો થયો છે. બલૂચિસ્તાનમાં ચાલી રહેલી હિંસાનું મુખ્ય કારણ ‘ચીન-પાકિસ્તાન વચ્ચે ઈકોનોમિક કોરિડોર’ છે. બલૂચો આ પ્રોજેક્ટથી ગુસ્સે થયા છે, જેના કારણે તેઓ અવાર-નવાર હુમલાઓ કરતા રહે છે.
આ પણ વાંચો : જેફ્રી એપસ્ટિનની અય્યાશીના વીડિયો સામે આવ્યા, ક્યાંક મહિલા પાછળ દોડે છે તો ક્યાંક...


