World

'...તો આ કારણે અમેરિકાએ ઈરાન સામેનું યુદ્ધ પડતું મૂક્યું', મહાસત્તા તરીકેનો પરપોટો ફૂટ્યાના અહેવાલ

By GS Team
22 Jun 20264 mins read
'...તો આ કારણે અમેરિકાએ ઈરાન સામેનું યુદ્ધ પડતું મૂક્યું', મહાસત્તા તરીકેનો પરપોટો ફૂટ્યાના અહેવાલ

- ઇરાન સામે અમેરિકા ખાડી દેશોમાં પોતાના એકપણ લશ્કરી થાણાને બચાવી ન શકતા નામોશી થઈ

- વિશ્વની સૌથી મોટી સેનાની ધમકી આપતું અમેરિકા હુમલા તો ઠીક બચાવ કરી શકવાની પણ સ્થિતિમાં ન હોવાનો દાવો

- 39 દિવસમાં જ અમેરિકાના શસ્ત્ર ભંડારના તળિયા દેખાયાઃ રશિયા જેવા હાલથી બચવા અમેરિકાએ તરફડીયા માર્યા

Iran and USA War | અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધ તો શરુ કરી દીધુ પરંતુ તેના પછી તેણે સંધિ કરવા માટે જે ઉતાવળ કરી તેણે આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. અહીં સ્પષ્ટ દેખાયું કે સામાન્ય રીતે હુમલાનો ભોગ બનનાર દેશ યુદ્ધ શાંત રાખવા વિનતી કરતું હોય, પરંતુ અહીં આક્રમણકાર અમેરિકા પોતે જાણે યુદ્ધ બંધ કરવા ઇરાનને વિનંતી કરી રહ્યુ હોય તેવી સ્થિતિ હતી. હવે તેના કારણો પણ પ્રકાશમાં આવી ગયા છે. 

અમેરિકાએ ઇરાન સાથે તે રીતે વિચારીને યુદ્ધ કર્યુ હતું કે તેના ટોચના 50 નેતાઓને ખતમ કરી નાખીશું એટલે ઇરાનમાં વ્યવસ્થાતંત્ર આપમેળે પડી ભાંગશે, જેમ સદામ હુસૈનમાં થયુ હતુ. તેના પછી ઇરાન નાક રગડતું અમારી પાસે આવશે, પરંતુ ઇરાનના કિસ્સામાં તે નિષ્ફળ ગયા. ઇરાને મોસેક ડિફેન્સથી પોતાનો બચાવ કર્યો. તેની વિકેન્દ્રીત યુદ્ધપ્રણાલિએ અમેરિકા-ઇઝરાયેલને ચકિત કરી દીધા. તેથી 39 દિવસ સુધી પણ માર ખમવા છતાં ઇરાન ઊભું રહેતા અમેરિકા સ્તબ્ધ થઈ ગયું હતું.

તેમા પણ અમેરિકન ઇન્ટેલિજન્સે સ્પષ્ટ જણાવ્યું કે ઇરાન હજી છ મહિના સુધી લડવા સક્ષમ છે. આ સાભળીને અમેરિકાના મોતિયા જ મરી ગયા. અમેરિકા અહીં વેનેઝુએલા ટાઇપનું ઓપરેશન કરવા માંગતુ હતુ, પરંતુ તેમા તેને સફળતા મળી નહી. ઇરાન જેવા દેશે અમેરિકાના મધ્યપૂર્વમાં આવેલા બધા જ લશ્કરી થાણા ખતમ કરી નાખ્યા છે. ટ્રમ્પે સમાચાર એજન્સીઓને વિનંતી કરવી પડી છે કે અમેરિકાના ખતમ થઈ ગેયેલા લશ્કરી થાણાની તસ્વીરો કે વિડીયો વાઇરલ ન કરે, નહીં તો જો આ ખતમ થયેલા થાણાની સ્થિતિ પણ જોઈએ તો અમેરિકાની મહાસત્તાનો બધો જ ભ્રમ ભાંગી જાય. 

આના પગલે યુદ્ધ ખેંચાતા અમેરિકા પાસેના શસ્ત્રો ઝડપથી ખલાસ થવા લાગ્યા. અમેરિકાએ એકબાજુએ યુક્રેન અને ઇઝરાયેલના શસ્ત્રો આપવાના હોય છે. તેના પછી તેણે ઇરાન સામે પણ તેના શસ્ત્રો વાપરતા તેનો શસ્ત્ર ભંડાર ઝડપથી ખાલી થયો હતો. આના લીધે છેવટે સ્થિતિ એવી આવી હતી કે અમેરિકાનો સ્વબચાવ માટે શસ્ત્રો ખૂટી પડયા હતા. તેના કારણે ટ્રમ્પે ઇરાનની મોટાભાગની શરતો માનવાની ફરજ પડી હતી. આમ કોઈ માની ન શકે કે અમેરિકા જેવા દેશના શસ્ત્રભંડાર ખૂટી જાય, પરંતુ હાલના કિસ્સામાં તે હકીકત છે. અમેરિકા યુક્રેનને અત્યાર સુધીમાં ૧૦૦ અબજ ડોલર જેટલી શસ્ત્ર મદદ કરી ચૂક્યુ છે. આ સિવાય તે ઇઝરાયેલને પણ શસ્ત્રો પૂરા પાડે છે. 

આને લઈને અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક કેલીએ શસ્ત્રો ઓછા હોવા અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટીવી ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ટોમહોક, પેટ્રિયેટ, થાડ ઇન્ટરસેપ્ટર જેવાનો સ્ટોક પાછો તૈયાર કરવામાં વર્ષો લાગી શકે છે. માર્ક કેલી નૌકાદળના નિવૃત્ત કેપ્ટન છે અને પૂર્વ અવકાશયાત્રી છે. આમ ઇરાન યુદ્ધમાંથી પાછીપાની કરવાનું કારણ અમેરિકા પાસે શસ્ત્રોનો ઓછો સ્ટોક હતો તે છે. માર્ક કેન્સિયન અને ક્રિસ પાર્કના તાજેતરના સીએસઆઇએસ રિપોર્ટમાં તેને સમર્થન આપવામાં આવ્યું છે. કેટલાય નિષ્ણાતોનો દાવો છે કે અમેરિકા હુમલા તો ઠીક બચાવ કરી શકવાની સ્થિતિમાં પણ નથી અને ઇરાનના હુમલાએ આ વાત સાબિત કરી છે. 

અમેરિકાએ 1000થી વધારે ટોમહોક મિસાઇલો છોડી હતી. આમ કુલ 3000 ના સ્ટોકમાંથી ત્રીજા ભાગનો જથ્થો ખતમ થઈ ગયો હતો. તેને ભરવામાં પાંચ વર્ષ લાગશે. 400 થાડ ઇન્ટરસેપ્ટરમાંથી અડધાનો એટલે કે 190થી 290નો ઉપયોગ કરવામાં આવ્યો. તેનું હાલનું વાર્ષિક ઉત્પાદન 96 છે, પરંતુ તેને 400 સુધી પહોંચાડવું પડે તેમજ છે. અમેરિકાએ 2500 ઇન્ટરસેપ્ટરમાંથી 1060 થી 1430  ફૂંકી માર્યા. દર વર્ષે આવા 650નુું ઉત્પાદન થાય છે અને તેણે તેના સહયોગીઓને પણ વેચવા પડી રહ્યા છે. એસએમ-3 અને એસએમ-6 મિસાઇલોનો સૌથી વધુ ઉપયોગ કરાયો હતો. તેને યુદ્ધના સ્તરે બનાવવામાં બે વર્ષ લાગશે. જેસમ ક્રૂઝ મિસાઇલમાં અમેરિકાએ 4000થી વધુ સ્ટોકમાંથી 1000 નો ઉપયોગ કર્યો. તેનું પણ મોટાપાયા પર ઉત્પાદન કરવાનું છે. આ સિવાય પ્રીસિઝન ક્રૂઝ મિસાઇલની સંખ્યા 100થી પણ ઓછી હતી અને તેમા 70 જેટલી તો વાપરી નાખી. તેનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે, પરંતુ તેને ભરતા તેને હજી સમય લાગશે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા વારંવાર ભાર આપવામાં આવ્યો હોવા છતાં પણ ઉત્પાદન જોઈએ તેટલી ઝડપથી થઈ રહ્યું નથી. આના કારણે અમેરિકાની ક્ષમતા પર મોટાપાયા પર અસર પડી છે.