ઈરાન બાદ હવે યમનની ધમકી: હોર્મુઝ જ નહીં આ રૂટ પણ બંધ કરીશું, ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yemen Threatens To Close Bab Al Mandeb Strait : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર જંગ શરૂ થઈ ગઈ છે, જેના કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પર જહાજોની અવરજવર લગભગ થંભી ગઈ છે. મોટાભાગના જહાજો રાતના અંધારામાં અથવા ગુપ્ત રીતે પસાર થઈ રહ્યા છે, છતાં તેઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી શકતા નથી. આ તણાવને કારણે કાચા તેલ (Crude Oil)ની કિંમતો ઝડપથી વધીને 85 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી પસાર થતા જહાજો પર 20 ટકા ટેક્સ વસૂલવાની વાત કરી રહ્યા છે, જેના કારણે આ તણાવ વધુ ઘેરો બન્યો છે, અને કાચા તેલની કિંમતોમાં હજુ પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
આ દરમિયાન, હવે યમન ધમકી આપી રહ્યું છે કે, તે હોર્મુઝની જેમ જ બીજો એક વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ બંધ કરી દેશે, જેનાથી કાચા તેલની કિંમત 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો વૈશ્વિક સ્તરે મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી જશે, અને વિશ્વભરના શેરબજારોમાં ભારે કડાકો આવી શકે છે.
યમને શું ધમકી આપી?
વૈશ્વિક એનર્જી સપ્લાય અને દરિયાઈ વેપારની ચિંતાઓ વચ્ચે, યમને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'બાબ અલ-મંડેબ' (Bab-el-Mandeb Strait) ને બંધ કરવાની ધમકી આપી છે. બાબ અલ-મંડેબ એ હોર્મુઝની જેમ જ એક મહત્વનો ચોકપોઈન્ટ છે. આ જળમાર્ગ લાલ સમુદ્ર (Red Sea)ને અદનની ખાડી (Gulf of Aden) અને હિંદ મહાસાગર સાથે જોડે છે.
જો આ રસ્તો બંધ થઈ જશે, તો વૈશ્વિક શિપિંગ સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેનાથી ભારતના વેપાર માર્ગો પર પણ ગંભીર અસર થશે. યમનના અંસારુલ્લાહ આંદોલનના રાજકીય બ્યુરોના સભ્ય મોહમ્મદ અલ-ફરાહે જણાવ્યું હતું કે, જો સાઉદી અરેબિયા યમનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ચાલુ રાખશે, તો એક સંયુક્ત ગઠબંધન હેઠળ બાબ અલ-મંડેબ અને હોર્મુઝ બંને જળમાર્ગો બંધ કરી દેવામાં આવશે. તેનાથી તેલની કિંમતો આસમાને પહોંચીને 200 ડોલર પ્રતિ બેરલ થઈ જશે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે એક ભયાનક ઝટકો હશે.
શા માટે આ દરિયાઈ માર્ગ આટલો ખાસ છે?
બાબ અલ-મંડેબ એ અરબ દ્વીપકલ્પ અને આફ્રિકાના હોર્ન વચ્ચેનો વ્યૂહાત્મક માર્ગ છે. તે સ્વેઝ નહેરના દક્ષિણ પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે, અને વૈશ્વિક દરિયાઈ વેપારનો લગભગ 10 થી 12 ટકા હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે, જેમાં વૈશ્વિક એનર્જી શિપમેન્ટનો મોટો હિસ્સો સામેલ છે.
ભારત માટે આ કેમ ચિંતાનો વિષય છે?
હોર્મુઝ સ્ટ્રેટ ઉપરાંત ભારત પોતાના કાચા તેલ અને LNGની આયાત માટે પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો પર નિર્ભર છે. નિકાસ માટે પણ આ માર્ગ એટલો જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય રિફાઇનર્સ આ જળમાર્ગ દ્વારા યુરોપીયન ખરીદદારોને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો મોકલે છે.
ભારતનો આશરે 95 ટકા વેપાર દરિયાઈ માર્ગે થાય છે. સ્વેઝ નહેર અને બાબ અલ-મંડેબ જળમાર્ગ મળીને ભારતના કુલ વિદેશી વેપારનો લગભગ 35 ટકા હિસ્સો સરળ બનાવે છે. ટેક્સટાઈલ, કપડાં, દવાઓ, મશીનરી અને બાસમતી ચોખા સહિતની નિકાસ આ જ માર્ગે થાય છે. યુરોપમાં નિકાસ થતા ભારતીય માલસામાનનો લગભગ 80 ટકા હિસ્સો લાલ સમુદ્ર વિસ્તારમાંથી પસાર થાય છે.









