Israel Iran US War: મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ તંગ બનતા UAEમાં અબુ ધાબી સ્થિત BAPS હિન્દુ મંદિર આજ રોજ 2 માર્ચથી 9 માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ તરફથી સત્તાવાર રીતે કરેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને જોતાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી સાવચેતીના પગલાં રૂપે અબુ ધાબી સ્થિત BAPS હિન્દુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે. આ દરમિયાન સ્વામી તમામની શાંતિ, સુરક્ષા અને કલ્યાણ માટે મંદિરમાં પ્રાર્થના કરતાં રહેશે. આ સાથે મંદિર ટ્રસ્ટે અફવાઓથી દૂર રહેવા, શાંતિ જાળવવા અને સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી છે.
ઈરાનના UAE પર તાબડતોબ હુમલા
સંયુક્ત આરબ અમીરાત(UAE) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈરાની હુમલાઓમાં 58 લોકો સામાન્ય રીતે ઘાયલ થયા છે જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. અબુ ધાબી સ્થિત ભારતીય દૂતાવાસે 1 માર્ચ 2026ના રોજ કહ્યું હતું કે એક ભારતીય નાગરિક ઘાયલ થવાની જાણકારી મળતાં તે હૉસ્પિટલ તંત્ર સાથે સંપર્કમાં છે. UAEના સંરક્ષણ મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો છે. યુદ્ધ શરુ થતાં UAEની સેનાએ 165 બેલિસ્ટિક મિસાઇલ, બે ક્રુઝ મિસાઇલ અને 541 ડ્રોન હુમલાઓનો સામનો કર્યો છે.

UAE પર ઈરાનનો હુમલો અને ભારતની પ્રતિક્રિયા
આ પહેલા રવિવારે રાત્રે પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી. ઈરાને UAE પર જે હુમલા કર્યા તેની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે.
ઈરાન-અમેરિકા યુદ્ધ પર બોલ્યા PM મોદી
ઈરાન-અમેરિકા યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'દુનિયામાં તણાવ ચાલી રહ્યો છે. ભારતીયોની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છે. ભારત વિશ્વમાં હંમેશા શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે. આતંકવાદ તમામ માટે પડકાર છે.'
આ પણ વાંચો: VIDEO: સાઉદીમાં ઓઈલ કંપની 'અરામકો'ની રિફાઈનરી પર ઈરાનના ડ્રોન એટેક
શા માટે ભારત માટે આ સ્થિતિ ગંભીર છે?
એકલા UAEમાં જ લગભગ 39 લાખ ભારતીયો વસે છે. જો યુદ્ધ વધે તો આ તમામ નાગરિકોની સુરક્ષા ભારત માટે સૌથી મોટો પડકાર બની શકે છે. ભારત અને UAE વચ્ચે વાર્ષિક 100 અબજ ડૉલરનો વેપાર થાય છે. યુદ્ધની અસર સીધી ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે.


