નેપાળમાં મહાપ્રલય: નદીમાં અચાનક પૂર આવતા આખેઆખા ગામ તણાયા, 16 લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood 2026: નેપાળમાં કુદરતી આફતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ચીન-તિબેટ સરહદે આવેલા ઉત્તરીય નેપાળના વિસ્તારોમાં બુધવારે અચાનક આવેલા વિનાશક પૂરે મોટા પાયે તારાજી સર્જી છે. તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે નદી કિનારાના અનેક ગામો, બાંધકામ સ્થળો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ હોનારતમાં હજારો લોકો ગુમ થયા હોવાની આશંકા છે, જ્યારે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો છે જેમાંથી 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
કાઠમંડુ પોસ્ટ અને નેપાળના પૂર પૂર્વાનુમાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આશરે 9 વાગ્યે તિબેટ સરહદ પારથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું હતું. આ પ્રવાહ બપોર સુધીમાં ધાદિંગ જિલ્લાના ગલ્છી વિસ્તાર સુધી પહોંચી ગયો હતો.
આંખના પલકારામાં આખે આખા ગામ તણાયા
રસૂવા જિલ્લાના તિમુરે અને આસપાસના સ્યાફ્રુબેસી વિસ્તારમાં આ પૂરના કારણે વાહનો, સામાન અને મકાનો તણાઈ ગયા હતા. ઉત્તરગયા ગ્રામીણ નગરપાલિકાના ડેપ્યુટી ચેરપર્સન ચમેલી ગુરુંગના જણાવ્યા મુજબ, સ્યાફ્રુબેસી, બેત્રાવતી, મૈલુંગ, સલ્લેતાર, શાંતિબજાર, પૈરેબેસી, ખાલતી બસ્તી, સોલે, ત્રિશૂલી અને બત્તાર સહિત લગભગ એક ડઝન જેટલી વસાહતો ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. પુલ ધરાશાયી થવાની સાથે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
ભારતની ચિંતા વધી: 105 ભારતીયો ગુમ
નેપાળના સરહદી રસૂવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટનામાં હવે ભારત માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નેપાળ ટુરિઝમ બોર્ડ(NTB) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, આ અણધારી આપત્તિમાં લાપતા થયેલા 291 વિદેશી પ્રવાસીઓમાં ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
તિબેટના ગ્યિરોંગમાં ભારે ભૂસ્ખલન
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર, બુધવારે સવારે લગભગ 10:30 વાગ્યે તિબેટના શિગાત્સે શહેરના ગ્યિરોંગ કાઉન્ટીમાં ચીન-નેપાળ બોર્ડર ક્રોસિંગ પર વિશાળ મડસ્લાઇડ થયું હતું. આ ભૂસ્ખલનને કારણે ગ્યિરોંગ પોર્ટ પર પણ ઘણા લોકો માર્યા ગયા હોવાની અને ગુમ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નેપાળમાં હજારો લોકો પાણીમાં તણાયા હોવાની આશંકા
સ્થાનિક અહેવાલો અનુસાર, નેપાળના 4 જિલ્લાઓમાં નદી કિનારે વસેલા હજારો લોકો પૂરના વહેણમાં ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. નદી કિનારે મોટી વસાહતો, બજારો તેમજ સરકારી કચેરીઓ, સુરક્ષા એજન્સીઓના કેમ્પ, જેલ, શાળાઓ અને હોસ્પિટલો આવેલી છે. શરૂઆતી માહિતી મુજબ, ફરજ પર તૈનાત 41 સુરક્ષાકર્મીઓ પણ લાપતા બન્યા છે, જેમાં નેપાળ પોલીસના 32 અને આર્મ્ડ પોલીસ ફોર્સના 9 જવાનોનો સમાવેશ થાય છે.
નેપાળના જળપ્રલય બાદ ભારતના બિહારમાં ભારે ઍલર્ટ
ANIના અહેવાલ મુજબ, નેપાળમાં ગંડક નદીના ઉપલા કેચમેન્ટ એરિયામાં પાણીના અચાનક વધારાને પગલે ભારતમાં બિહાર તંત્ર હરકતમાં આવી ગયું છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ તકેદારીના આદેશ આપ્યા છે. નેપાળના રસૂવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, લમજુંગ અને તનહું તેમજ દોલખા અને સિંધુપાલ્ચોકમાં પૂરના જોખમને પગલે બિહારના સરહદી જિલ્લાઓમાં પૂરની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતની અધ્યક્ષતામાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તાકીદની સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.
7 લોકોના મોત અને ભારે નુકસાનની ભીતિ
નેપાળી સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રસુવા જિલ્લામાં આ પૂરના કારણે 7 લોકોના મોત થયા છે અને બુધવાર બપોર સુધીમાં 25 લોકોને બચાવી લેવાયા છે. કાઠમંડુથી ઉત્તર-પૂર્વમાં અને તિબ્બત સીમાથી આશરે 125 કિલોમીટર દૂર આવેલા 50,000ની વસ્તી ધરાવતા રસુવા જિલ્લામાં આ પૂરથી વાહનો, માલસામાન અને અન્ય સંપત્તિઓને ભારે નુકસાન થયું છે. રસુવાગઢી કસ્ટમ્સ પરિસરમાં રાખેલા અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ પૂરનું સ્તર અસામાન્ય રીતે ઊંચું હતું.
તિમુરે અને સ્યાફ્રુબેસીમાં તબાહીનું દૃશ્ય
તિમુરે ચીન-નેપાળ સરહદ નજીક આવેલું એક મહત્ત્વનું બજાર અને કસ્ટમ ક્ષેત્ર છે. પૂરના ધસમસતા પાણીએ આ આખા બજારને તણાવીને નષ્ટ કરી દીધું છે. ઉત્તરગયા ગૌંપાલિકાના ઉપાધ્યક્ષ ચમેલી ગુરંગના જણાવ્યા અનુસાર સ્યાફ્રુબેસી, બેત્રાવતી, મૈલુંગ, સલ્લેટાર અને શાંતિબજાર સહિત આશરે 12 જેટલા રહેણાક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન તિમુરે ખાતે તહેનાત સશસ્ત્ર પોલીસ બળ(APF)ના 9 જવાનો સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે 25થી 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક વરસાદ નહીં, તિબ્બતમાં ગ્લેશિયર લેક ફાટવાનું કારણ
હવામાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાનીના જણાવ્યા અનુસાર, આ પૂર રસુવામાં થયેલા વરસાદને કારણે નથી આવ્યું, કારણ કે છેલ્લા 24 કલાકમાં ત્યાં માત્ર 7 મીમી જેટલો જ હળવો વરસાદ નોંધાયો હતો. ભોટેકોશી નદીનો ઉપરનો પ્રવાહ તિબ્બતમાંથી આવે છે. હિમાલય ક્ષેત્રમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તિબ્બતમાં કોઈ ગ્લેશિયર સરોવર અચાનક ફાટવાથી (GLOF- Glacial Lake Outburst Flood) અથવા ત્યાં ભારે વરસાદ થવાથી આ હોનારત સર્જાઈ છે. હાલ ચીન સાથે સેટેલાઇટ ઑફિસ અને ડેટા શેર કરીને પૂરનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શી જિનપિંગની પ્રતિક્રિયા
ચીનના પ્રમુખ શી જિનપિંગે નેપાળમાં આવેલા આ મડસ્લાઇડ અને દક્ષિણ-પશ્ચિમ ચીનના તિબ્બત ક્ષેત્રમાં આવેલા ગ્યિરોંગ સરહદી પોર્ટ પરથી ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બરાબર એક વર્ષ પહેલાં પણ આ જ નદીમાં આવી જ ઘટના ઘટી હતી, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં, 24 લોકો ગુમ થયા હતા અને નેપાળ-ચીન મૈત્રી પુલ પૂરમાં તણાઈ ગયો હતો.
ફરીથી પૂર આવવાનું મોટું જોખમ
ચીન તરફથી મળેલી માહિતીના આધારે નેપાળના NDRRMA(નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઑથોરિટી)ના અધિકારીએ જણાવ્યું છે કે, તિબ્બતમાં ફાટેલા ગ્લેશિયર લેક હજુ પણ પાણી રોકાવાથી આશરે 7 મીટર ઊંચો કુદરતી બંધ બનેલો છે. આ બંધ ગમે ત્યારે તૂટી જવાનું જોખમ હોવાથી નદી કિનારે વસતા સ્થાનિકો અને રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોને અત્યંત સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
રાહત અને બચાવ અભિયાન તેજ: 12 હેલિકોપ્ટર તહેનાત
પૂરમાં રાહત અને બચાવ કાર્ય માટે નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. નેપાળી સેનાએ શોધ અને બચાવ અભિયાન માટે એમઆઈ-17 (MI-17) સહિત 4 સેનાના અને 8 ખાનગી એમ કુલ 12 હેલિકોપ્ટર મેદાનમાં ઉતાર્યા છે. સેનાએ 12 લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કર્યા છે અને 7 ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. નેપાળના પીએમ બાલેન શાહે તાત્કાલિક રાહત કામગીરી કરવાના આદેશ આપી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
નીચાણવાળા વિસ્તારો અને ભારત સુધી ઍલર્ટ
ભોટેકોશી નદી આગળ જઈને ત્રિશૂલી નદીમાં મળે છે, જે ત્યારબાદ ભારતમાં 'ગંડક' નદી તરીકે ઓળખાય છે. આથી રસુવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ચિતવન અને ગોરખા જિલ્લાના નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને હાઇ એલર્ટ રહેવાની અપીલ કરવામાં આવી છે. પૃથ્વી હાઇવે અને નદી કિનારેના રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ થયો છે અને પ્રવાસીઓને આ વિસ્તારોમાં ન જવાની સલાહ અપાઈ છે.
નુવાકોટમાં ત્રિશૂલી બજાર નજીક 60 જેટલા મકાનો તણાઈ ગયા છે અને બે સિમેન્ટના પુલ તૂટી ગયા છે. આ ઉપરાંત ત્રિશૂલી અને દેવીઘાટ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તેમજ 25 મેગાવોટના સોલાર પ્લાન્ટના 3 બ્લોક અને સબસ્ટેશનને ભારે નુકસાન પહોંચ્યું છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને વેપાર માર્ગ (રસુવાગઢી કસ્ટમ) બંધ થવાના કારણે નેપાળમાં વીજ પુરવઠો અને આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થવાની ભીતિ છે. આ ઘટના હિમાલયન દેશો માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સરહદ પાર આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત કરવાની ગંભીર ચેતવણી આપે છે.




