અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, પેરિસ મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Paris Namaste Sculpture: અમદાવાદના પ્રખ્યાત નમસ્તે સર્કલની જેમ હવે ફ્રાન્સના પેરિસમાં પણ 'નમસ્તે' શિલ્પ સાથેનું સર્કલ આકાર પામ્યું છે. મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં નવા 'નમસ્તે' શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

સ્વાગત, સન્માન અને નમ્રતાનું પ્રતીક બન્યું શિલ્પ
એવન્યુ દુ જનરલ-દ-ગોલ રોડ પર આવેલા સર્કલ પર એક ખાસ શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન 'નમસ્તે' કરતા બે હાથ બતાવવામાં આવ્યા છે, જે સ્વાગત, આદર અને નમ્રતાનો સંદેશ આપે છે. શહેરના મુખ્ય રસ્તા પર હોવાથી, બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને આ શિલ્પ પ્રેમથી આવકારે છે. આ સાથે જ, આ 'નમસ્તે' શિલ્પ એ પણ દર્શાવે છે કે આ શહેરમાં અલગ-અલગ સંસ્કૃતિના લોકો હળીમળીને રહે છે અને સૌનું સન્માન થાય છે.

વિવિધ સંસ્કૃતિઓને સમાવતા શહેરમાં 'નમસ્તે'નો ઉમેરો
બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં અલગ-અલગ દેશોની સંસ્કૃતિ અને પરંપરાઓને માન આપતાં વિશિષ્ટ શિલ્પો મુકવાની એક અનોખી પરંપરા રહી છે.
જેમ કે, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતું 'રોં-પોઇન્ટ દુ લાઓસ' ખાતે મૂકેલું 3 મોઢાવાળા હાથીનું શિલ્પ, કમ્બોડિયાના વારસા અને કરુણાનું પ્રતીક ગણાતું 'રોં-પોઇન્ટ ફ્નોમ પેન્હ' ખાતે આવેલું સેન્ડસ્ટોનનું બાયોન શિલ્પ અને વિયતનામી શરણાર્થીઓની યાદમાં 'રોં-પોઇન્ટ સાઇગોન' ખાતે બનાવેલું 'લે રેવ દ લા મેર' શિલ્પ. હવે આ તમામ સાંસ્કૃતિક પ્રતીકોની સુંદર યાદીમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન 'નમસ્તે' શિલ્પ પણ ઉમેરાઈ ગયું છે.
13 દિવસીય 'ફેસ્ટિવલ ઓફ કલ્ચર' અને BAPS મંદિરનું લોકાર્પણ
બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં 13 દિવસ સુધી ચાલનારા વિશિષ્ટ સાંસ્કૃતિક મહોત્સવ 'ફેસ્ટિવલ ઑફ કલ્ચર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉત્સવ ફ્રાન્સમાં પરંપરાગત શૈલીમાં બનેલા પ્રથમ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન અને લોકાર્પણના આનંદમાં ઉજવવામાં આવી રહ્યો છે.

મેયર યાન ડુબોસ્કે ભારત-ફ્રાન્સની સંસ્કૃતિના સંગમને બિરદાવ્યો
કાર્યક્રમ દરમિયાન મેયર ડુબોસ્કે બુસી-સેંટ-જ્યોર્જેસમાં ફ્રાન્સ અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, 'નમસ્તે માટે જોડાયેલા બે હાથ શાંતિ, દયા અને ભારત-ફ્રાન્સની સંસ્કૃતિઓના સંગમનું પ્રતીક છે. બંને દેશોની પોતાની અલગ ઓળખ છે, છતાં પણ એકબીજાને મદદ કરવાની, ભાઈચારાની અને એકતાની ભાવના તેમને જોડે છે. આ શહેર એક એવી ખાસ જગ્યા છે જ્યાં અલગ-અલગ સમુદાયના લોકો એકસાથે મળીને રહે છે.' અંતમાં તેમણે સૌને અભિનંદન આપીને શહેરમાં દિલથી આવકાર્યા હતા.

અનાવરણ પ્રસંગે ફ્રાન્સના નેતાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં બુસી-સેંટ-જ્યોર્જેસના 'પબ્લિક સ્પેસિસ' વિભાગના વડા વેરોનિક લેકવા પણ ખાસ હાજર રહ્યા હતા. 'નમસ્તે' શિલ્પ અને સર્કલને સુંદર રીતે તૈયાર કરવામાં તેમણે આપેલા સહયોગ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો. આ સિવાય મેયર ઑફિસ તરફથી ડેપ્યુટી મેયર માર્ક નુગાયરોલ અને ચીફ ઑફ સ્ટાફ સેડ્રિક ટાર્ટોડ-જિનેસ્ટ પણ અનાવરણ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ફ્રાન્સમાં ભારતીય વારસાની અનોખી ઓળખ
ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, 'આ 'નમસ્તે' શિલ્પ ભારતની મહાન સભ્યતા અને સમૃદ્ધ વારસાની ઓળખ છે. તે ફ્રાન્સના મુખ્ય આદર્શો જેવાં કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનું સાક્ષી બને છે. સાથે જ આ શિલ્પ એ વાત પણ દર્શાવે છે કે ભારતીય સમુદાય પોતાની સંસ્કૃતિ જાળવી રાખીને ફ્રેંચ સમાજમાં કેટલી સુંદર રીતે ભળી ગયો છે.'
BAPSના આનંદસ્વરૂપદાસ સ્વામીએ નમ્રતાનો અનોખો સંદેશ આપતાં કહ્યું કે, 'નમ્રતા આપણને ત્રણ મહત્ત્વની બાબતો શીખવે છે – બીજાઓ પાસેથી કંઈક નવું શીખવું, સૌનો આદર કરવો અને સેવા ભાવ રાખવો. માણસનો અહંકાર જેમ ઘટે છે, તેમ સેવા કરવાની ભાવના વધે છે. આ ગુણો ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા છે અને તે ફ્રાન્સના શિષ્ટાચાર, સન્માન તેમજ માનવીય બંધુત્વ જેવા મૂલ્યો સાથે એક મજબૂત સાંસ્કૃતિક સેતુ બાંધે છે.'




