World

ગેરકાયદે પ્રવેશ્યા ને હવે આશરાની માગ: સ્પેનના દરિયાકિનારે હજારો પ્રવાસીઓનો હંગામો, સરકારે કહ્યું 'નો એન્ટ્રી'

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
સ્પેનના સ્યુટા વિસ્તારમાં 5000થી વધુ પ્રવાસીઓએ શરણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. બે અઠવાડિયા પહેલા મોરોક્કોથી 72,000થી વધુ લોકો ઘૂસ્યા હતા, જેમાંથી મોટાભાગના પરત ફર્યા છે. હાલ, પ્રવાસીઓ એલ ત્રામ્પોલિન બીચ પર ખરાબ હાલતમાં છે. સ્પેન સરકારે ગેરકાયદે પ્રવેશેલા લોકોને કાનૂની દરજ્જો આપવાનો ઇનકાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગેરકાયદે પ્રવેશ્યા ને હવે આશરાની માગ: સ્પેનના દરિયાકિનારે હજારો પ્રવાસીઓનો હંગામો, સરકારે કહ્યું 'નો એન્ટ્રી'
IMAGE - IANS

Spain Ceuta migrant crisis: સ્પેનના ઉત્તરી આફ્રિકા સ્થિત વિસ્તાર સ્યુટામાં તાજેતરમાં ઘૂસણખોરી કરનારા સેંકડો પ્રવાસીઓએ રવિવારે શહેરના એક લોકપ્રિય સમુદ્ર કિનારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોકોનો દાવો છે કે તેમને મોરોક્કો પાછા મોકલવાને બદલે સ્પેન સરકાર દ્વારા શરણ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા થયેલી મોટા પાયાની ઘૂસણખોરી બાદ હજુ પણ અંદાજે 5000થી 8000 જેટલા પ્રવાસીઓ સ્યુટામાં રોકાયેલા છે. આ ઘટના દરમિયાન માત્ર 80,000ની વસ્તી ધરાવતા આ નાનકડા વિસ્તારમાં 72,000થી વધુ લોકો પ્રવેશી ગયા હતા, જેમાંથી મોટાભાગના લોકો બાદમાં પોતાની મરજીથી પરત ફરી ગયા હતા.

સમુદ્ર કિનારે બિસ્માર હાલતમાં રહેવા મજબૂર પ્રવાસીઓ

શહેરના સંસાધનો પર ભારે દબાણ વધવાના કારણે મોટાભાગના પ્રવાસીઓ એલ ત્રામ્પોલિન બીચ અથવા શહેરના બહારના વિસ્તારોમાં અત્યંત ખરાબ પરિસ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા છે. તેઓ યુરોપના મુખ્ય ભૂમિભાગ તરફ આગળ વધવાની તકની રાહ જોઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સ્પેનના ઝંડા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં તેમણે મોરોક્કો પરત ન જવાની અને માનવીય ધોરણે ઉકેલ લાવવાની અપીલ કરી હતી. સ્થાનિક પોલીસ તેમને શહેરના મુખ્ય વિસ્તારમાં પ્રવેશતા રોકી રહી છે.

ગેરકાયદે પ્રવેશેલા લોકોને કાનૂની દરજ્જો નહીં મળે: સ્પેન સરકાર

બીજી તરફ સ્પેન સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. દેશના ગૃહમંત્રી ફર્નાન્ડો ગ્રાન્ડે-માર્લાસ્કાએ સ્પષ્ટ કર્યું છે કે જે પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા છે, તેમને આ વિસ્તારમાં રહેવા, સ્પેનની મુખ્ય જમીન પર જવા કે કોઈ કાનૂની દરજ્જો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માત્ર અત્યંત અસુરક્ષિત અને વિશિષ્ટ કિસ્સાઓમાં જ અપવાદરૂપે છૂટછાટ મળી શકે છે. હાલમાં સ્યુટામાં અટવાયેલા પ્રવાસીઓ શરણની માંગ પર અડગ છે, જ્યારે સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.