World

ટ્રમ્પના પ્લાનની ઐસી તૈસી, પેલેસ્ટાઈનને 'દેશ' બનવા નહીં દઉં : ઈઝરાયલી PM નેતન્યાહુ ખિજાયા

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે 15 સૂત્રીય શાંતિ પ્લાન રજૂ કર્યો હતો. જોકે, ઈઝરાયલના PM નેતન્યાહૂએ પેલેસ્ટાઇન દેશની રચનાની યોજના ફગાવી દીધી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી હમાસ હથિયાર નહીં છોડે ત્યાં સુધી ઈઝરાયલ ગાઝામાંથી પીછેહઠ નહીં કરે. નેતન્યાહૂએ ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દેવાની પણ સ્પષ્ટતા કરી. ઓક્ટોબર ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના પ્લાનની ઐસી તૈસી, પેલેસ્ટાઈનને 'દેશ' બનવા નહીં દઉં : ઈઝરાયલી PM નેતન્યાહુ ખિજાયા
IMAGE - IANS

Netanyahu Rejects Trump Peace Plan: ઈઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે 15 સૂત્રોનો શાંતિ પ્લાન રજૂ કર્યો હતો. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પની આ શાંતિ યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. નેતન્યાહૂએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, 'હું વડાપ્રધાન છું ત્યાં સુધી પેલેસ્ટાઇનને અલગ દેશ બનવા દઈશ નહીં.' બીજી તરફ, હમાસે ટ્રમ્પના આ શાંતિ પ્લાનના બીજા તબક્કાને આગળ વધારવા માટે સૌથી પહેલાં ગાઝામાંથી ઈઝરાયલના સૈન્યની સંપૂર્ણ પીછેહઠની માગ કરી છે.

ગાઝા પર કબ્જો જાળવી રાખવાની નેતન્યાહૂની સ્પષ્ટતા

કેબિનેટ બેઠક બાદ નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું કે, ઈઝરાયલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના 15 સૂત્રીય પ્લાનને મંજૂરી આપતું નથી. તેમણે ગાઝા અને વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇન દેશની રચના કરવાની ટ્રમ્પની યોજનાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. નેતન્યાહૂએ બેધડક કહી દીધું કે, 'જ્યાં સુધી હમાસ ખરા અર્થમાં સંપૂર્ણપણે પોતાના હથિયાર નહીં નાંખી દે, ત્યાં સુધી ઈઝરાયલની સેના ગાઝામાંથી પીછેહઠ નહીં કરે અને ગાઝા પર પોતાનો કબજો જાળવી રાખશે.'

'અમેરિકા-ઈરાન સમજૂતીથી કોઈ ફરક પડતો નથી'

ઈરાન મુદ્દે પણ આક્રમક નિવેદન આપતાં નેતન્યાહૂએ જણાવ્યું કે, 'જ્યાં સુધી હું વડાપ્રધાન છું ત્યાં સુધી ઈરાન કોઈપણ કિંમતે પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં. ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સમજૂતી થાય કે ના થાય, તેનાથી ઈઝરાયલને કોઈ ફરક પડતો નથી. ઈરાન પાસે કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર ન હોવા જોઈએ - આ બાબતે ઈઝરાયલનું વલણ તદ્દન સ્પષ્ટ છે.'

ઓક્ટોબરમાં ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલાની અટકળો

મધ્ય-પૂર્વમાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે નેતન્યાહૂએ ઈરાન પર નવેસરથી હુમલાની તૈયારી કરવાના સંકેતો આપ્યા છે. ઈઝરાયલી મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલ સૈન્યે સત્તાવાર રૂપે પોતાના તમામ સૈનિકોની રજાઓ રદ કરી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે ઈઝરાયલ કથિત રીતે તહેરાન (ઈરાન) વિરુદ્ધ એકતરફી સૈન્ય કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈઝરાયલે 26 ફેબ્રુઆરીના રોજ પણ સૈનિકોની રજાઓ રદ કરી હતી અને ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. જેથી હાલમાં સૈન્યની રજાઓ રદ થતાં ઈરાન પર ફરીથી મોટા હુમલાની આશંકા સેવાઈ રહી છે. રાજકીય નિષ્ણાતોના મતે, ઈઝરાયલમાં આગામી ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાનપદની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે નેતન્યાહૂ પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે ઈરાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.