World

ભારતે ડીઝલ અને ફ્યુઅલ જેટ ઈંધણની નિકાસ પર ટેક્સ વધાર્યો, અમેરિકા-ઈરાન યુદ્ધની અસર

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે ગુરુવાર, 16 જુલાઈથી ડીઝલ અને જેટ ઇંધણ (ATF)ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ડીઝલ પર પ્રતિ લિટર 8.5 રૂપિયાથી વધારીને 15.50 રૂપિયા અને ATF પર 7.50 રૂપિયાથી વધારીને 14.5 રૂપિયા કરાયો છે. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ વધારાને કારણે દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારી રોકવા આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે ડીઝલ અને ફ્યુઅલ જેટ ઈંધણની નિકાસ પર ટેક્સ વધાર્યો, અમેરિકા-ઈરાન યુદ્ધની અસર
IMAGE - IANS

India windfall tax hike: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સરકારે દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારી રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડીઝલ અને જેટ ઇંધણ (ATF)ના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ નવા દરો આજથી એટલે કે ગુરુવાર, 16 જુલાઈથી જ અમલી બની ગયા છે.

ડીઝલ અને જેટ ઇંધણ પર ટેક્સમાં ધરખમ વધારો

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, ડીઝલના નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર 8.5 રૂપિયાથી સીધો વધારીને 15.50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણ પરનો ટેક્સ પણ પ્રતિ લીટર 7.50 રૂપિયાથી વધારીને 14.5 રૂપિયા કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં સરકારે નિકાસને અંકુશમાં લેવા આ પગલું ભર્યું છે.

દેશમાં ઓઇલની તંગી અને મોંઘવારી રોકવાનો મુખ્ય ઉદ્દેશ્ય

આર્થિક વિશ્લેષકોના મતે, સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દેશની અંદર પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે. જો સરકાર નિકાસ પરનો ટેક્સ ન વધારે, તો ભારતની ખાનગી રિફાઇનિંગ કંપનીઓ વધુ નફો કમાવવાની લાલચમાં સ્થાનિક બજારમાં સપ્લાય કરવાને બદલે વિદેશોમાં ઇંધણ મોકલવાનું વધારી દે. જો એવું થાય તો ભારતમાં ઓઇલની ભારે તંગી સર્જાય અને મોંઘવારી આસમાને પહોંચી શકે છે, જેને રોકવા સરકારે આ વ્યૂહનીતિ અપનાવી છે.

ડીઝલ પર ટેક્સ વધવાથી સામાન્ય જનતાને રાહત

નિકાસ પર ટેક્સ વધવાને કારણે રિફાઇનરી કંપનીઓ માટે વિદેશમાં ડીઝલ વેચવું મોંઘું પડશે, જેથી તેઓ સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવશે. દેશમાં ડીઝલનો પૂરતો સ્ટોક રહેવાથી માલસામાનની હેરફેરનો ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) સ્થિર રાખવામાં મદદ મળશે. આના કારણે સામાન્ય જનતા પર જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીનો સીધો અને તાત્કાલિક બોજ નહીં પડે.

હવાઈ સફર મોંઘી થવાની શક્યતા

બીજી તરફ, જેટ ઇંધણ (ATF) પર નિકાસ ટેક્સ વધારવાના કારણે દેશની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે ઇંધણની અછત નહીં સર્જાય. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે વૈશ્વિક બજારમાં જેટ ઇંધણની કિંમતો ઊંચી રહેશે. આ સ્થિતિને જોતાં આગામી દિવસોમાં એરલાઇન્સ કંપનીઓ ભાડામાં વધારો કરી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે હવાઈ સફરની ટિકિટો મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે.