World

7.7ની તીવ્રતાના ભારે ભૂકંપ બાદ જમીનમાંથી આ શું નીકળ્યું? સંપૂર્ણ સરોવરનું રંગ બદલાયું

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ઇન્ડોનેશિયાના ફ્લોરેસ દ્વીપ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વેસ્ટ મંગગરાઈ વિસ્તારમાં આવેલા 'સાનો ન્ગોઆંગ' તળાવમાં ભૂકંપ બાદ કાળો પદાર્થ તરતો દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. લોકો તેને 'તાઈ સાનો' કહે છે. આ તળાવ પ્રાચીન જ્વાળામુખીય ક્ષેત્રમાં આવેલું હોવાથી, ભૂકંપના કારણે તળિયાની માટી કે અન્ય પદાર્થો સપાટી પર આવ્યા હોવાની શક્યતા છે. વૈજ્ઞાનિક તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

7.7ની તીવ્રતાના ભારે ભૂકંપ બાદ જમીનમાંથી આ શું નીકળ્યું? સંપૂર્ણ સરોવરનું રંગ બદલાયું

Lake Sano Nggoang: ઇન્ડોનેશિયાના ફ્લોરેસ દ્વીપ પર આવેલા વેસ્ટ મંગગરાઈ વિસ્તારમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ બાદ સ્થાનિક 'સાનો ન્ગોઆંગ' તળાવમાં કાળા રંગનો પદાર્થ તરતો દેખાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક લોકો આ કુદરતી ઘટનાને 'તાઈ સાનો' તરીકે ઓળખાવે છે. જોકે, તળાવમાં દેખાયેલો આ કાળો પદાર્થ ભૂકંપના કારણે જ બહાર આવ્યો છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેનું સાચું કારણ જાણવા માટે તળાવના પાણી અને આ કાળા પદાર્થની વૈજ્ઞાનિક તપાસ કરવી જરૂરી બની છે.

શું ભૂકંપના કારણે કાળો પદાર્થ સપાટી પર આવ્યો?

ભૂકંપ બાદ તળાવમાં થયેલા આ ફેરફારોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ઘટના બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભૂકંપના તીવ્ર આંચકાના કારણે તળાવના તળિયે જમા થયેલી માટી કે અન્ય પદાર્થો સપાટી પર આવી ગયા હોઈ શકે છે. સાનો ન્ગોઆંગ એ કોઈ સામાન્ય તળાવ નથી, પરંતુ તે પ્રાચીન જ્વાળામુખી ધરાવતા વિસ્તારમાં આવેલું તળાવ છે. અહીં જમીનની નીચેથી ગરમ પાણી અને ગેસ બહાર નીકળવા જેવી કુદરતી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે.

જ્વાળામુખી ક્ષેત્રમાં આવેલું છે સાનો ન્ગોઆંગ તળાવ

સાનો ન્ગોઆંગ તળાવ એક પ્રાચીન જ્વાળામુખીના ક્રેટરમાં બનેલું છે. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનના ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ અનુસાર, અહીં અંદાજે 2.5×3.5 કિલોમીટરનો જ્વાળામુખી ક્રેટર આવેલો છે અને તળાવની આસપાસ ગરમ ગેસ નીકળતી જગ્યાઓ પણ નોંધાયેલી છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, આ તળાવનું કદ આશરે 3.3×2.2 કિલોમીટર છે અને તેની ઊંડાઈ લગભગ 500 મીટર સુધીની છે. આ તળાવનું પાણી ખૂબ જ એસિડિક છે, જેનું pH સ્તર 3.17 નોંધાયું હતું.

પાણીમાં સલ્ફર અને રસાયણોની હાજરી

આ તળાવના પાણીમાં સલ્ફેટ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા રસાયણો મળી આવ્યા છે, તેમજ તળાવની આસપાસ સલ્ફર (ગંધક) જેવી તીવ્ર ગંધ અનુભવાય છે. આ બાબતો દર્શાવે છે કે તળાવની નીચે ભૂગર્ભીય પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. આથી, દેખાયેલો કાળો પદાર્થ તળાવના તળિયેથી ઉપર આવેલી માટી હોઈ શકે છે અથવા તો તેમાં કોઈ ખનિજ કે જ્વાળામુખીના પદાર્થો હોઈ શકે છે.

તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે

હાલના તબક્કે ભૂકંપ અને તળાવમાં દેખાયેલા કાળા પદાર્થ વચ્ચે સીધો સંબંધ હોવાનું સાબિત થયું નથી. વૈજ્ઞાનિકો દ્વારા પાણી અને કાળા પદાર્થના સેમ્પલ લઈ તેની લેબોરેટરી તપાસ કરવામાં આવ્યા બાદ જ આ ઘટના પાછળ ભૂકંપ જવાબદાર હતો કે અન્ય કોઈ કુદરતી જ્વાળામુખીય પ્રક્રિયા, તેનો ખુલાસો થઈ શકશે.