World

VIDEO : ઈન્ડોનેશિયામાં 7.7ના ભૂકંપ બાદ 24 કલાકમાં 341 આંચકા: 51નાં મોત, લોકો તાડપત્રી નીચે રહેવા મજબૂર

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં 15 ઓગસ્ટે 7.7ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે. પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં આવેલા આ ભૂકંપથી ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે અને 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. 36 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અને 341 આફ્ટરશોક્સ નોંધાયા છે. હજારો લોકો બેઘર બન્યા છે, અને બચાવ કામગીરી તેજ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઈન્ડોનેશિયામાં 7.7ના ભૂકંપ બાદ 24 કલાકમાં 341 આંચકા: 51નાં મોત, લોકો તાડપત્રી નીચે રહેવા મજબૂર

Indonesia Earthquake : ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં આવેલા 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 15 ઓગસ્ટે સવારે આવેલા આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે, જ્યારે 5,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં આવેલા આ ભૂકંપને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે અને મોટા પાયે ભૂસ્ખલન થયું છે.

Indonesia Earthquake-1.jpg

મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત, 341 આફ્ટરશોક્સ નોંધાયા

ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર બેન્જામિન પોલસ ઓક્ટેવિયનસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં 36 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 77 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મુખ્ય ભૂકંપ બાદ વિસ્તારમાં 341 આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. વર્ષ 2022 માં પશ્ચિમ જાવા બાદ ઈન્ડોનેશિયામાં આવેલો આ સૌથી ભયાનક અને જીવલેણ ભૂકંપ માનવામાં આવે છે.

હજારો લોકો બેઘર, હંગામી ટેન્ટમાં આશરો

આપત્તિ વ્યવસ્થાપન એજન્સી BNPBના જણાવ્યા મુજબ, સિક્કા વિસ્તારમાં 3,300 થી વધુ લોકોએ સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે અથવા તેમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યા છે. ઘરો ધરાશાયી થતાં લોકો તાલપત્રીના અસ્થાયી તંબુઓમાં રહેવા મજબૂર બન્યા છે. મૌમેરે વિસ્તારમાં હોસ્પિટલની બહાર ટેન્ટ ઊભા કરીને ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.

વૃક્ષો નીચે અને ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર સ્થાનિકો

સિક્કાના 63 વર્ષીય અબ્દુલ મુતાસે જણાવ્યું કે, તેઓ પોતાના પરિવાર સાથે ઝાડ નીચે તાલપત્રી બાંધીને સૂઈ રહ્યા છે અને જીવ બચાવીને માત્ર પહેરેલા કપડે જ બહાર નીકળ્યા હતા. સિક્કાના ડેપ્યુટી રીજન્ટ સાઈમન સુબાંદીએ જણાવ્યું કે, લોકોમાં એટલો ડર છે કે તેઓ ઘરમાં જવાનું ટાળી રહ્યા છે અને ઘરની બહાર કે ટેન્ટમાં રાત વિતાવી રહ્યા છે.

બચાવ કામગીરી તેજ અને ઈમરજન્સી જાહેર કરવાની તૈયારી

રાહત અને બચાવ કાર્ય માટે 3,500 થી વધુ સેના અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. BNPB અનુસાર, 1,300 થી વધુ મકાનોને નુકસાન થયું છે અને વીજ પુરવઠો ખોરવાતા 20 પેટ્રોલ પંપ બંધ રહ્યા છે. સંસાધનો અને રાહત ફંડ ઝડપથી મેળવવા માટે સ્થાનિક સરકાર ઈમરજન્સી જાહેર કરવા પર વિચાર કરી રહી છે.

Indonesia Earthquake-4.jpg