- ચૂંટણી વોર સ્ફોટક બનવા જઇ રહી છે
- ઇનસાઇડ સ્ટોરી
બિહારની ચૂંટણી વોર સ્ફોટક બનવા જઇ રહી છે. વર્તમાન નીતીશ કુમારની એનડીએ સરકાર હવે ફરી લાલુ પ્રસાદ યાદવના ફેમિલીને સત્તા આપવા તૈયાર નથી. તો બીજી તરફ કોંગ્રેસની સાથે રહીને લાલુપ્રસાદ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ સત્તા કબજે કરવા માંગે છે. જે રીતે હાલમાં બંનેને પક્ષે જીભા જોડી ચાલે છે તે ચૂંટણી આવતા સુધીમાં તો બેફામ બની જવાની છે. કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણી પંચ સામે બાંયો ચઢાવી છે તો તેજસ્વી યાદવે નિતીશ કુમારે તેમની સાથે કરેલી ગદ્દારીને વર્ણવીને લોકોનો પ્રેમ જીતવા પ્રયાસ કરે છે.
લાલુપ્રપસાદ યાદવના ફેમિલીની પકડ બિહારની અનેક બેેઠકો પર છે. ભાજપ અને નિતીશ કુમાર બંને જાણે છે કે જો થોડું કાચું મુકીશું તો તેજસ્વી યાદવ અને કોંગ્રેસ સત્તા પર ચઢી બેસશે. ભાજપ અને નિતીશ કુમારના જનતાદળ(યુ)ના નેતાઓને એ વાતની ખબર છે કે ચૂંટણી સમયે અસઉદ્દીન ઓવૈસી કોંગ્રેસના મત તોડશે પરંતુ ભાજપ કોઇ પણ હિસાબે બિહારને હાથમાંથી જવા દેવા નથી માંગતું.
હાર-જીતનું રાજકીય ગણિત હાલમાં મુકી શકાય એમ નથી પરંતુ જો વિપક્ષોનું ગઠબંધન હારશે તો ખાસ કરીને કોંગ્રેસમાંજ રાહુલ ગાંધીની નેગાતીરી સામે અનેક વિવાદો ઉભા થશે.
સમગ્ર વિપક્ષ ભાજપનું એકાદ રાજ્ય પચાવી પાડીને કાર્યકરોમાં બૂસ્ટ ઉભો કરવા માંગે છે. કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો હાલમાં હતાશ છે. રાહુલ ગાંધી નિવેદનબાજી ઉભી કરીને કાર્યકરોમાં જોશ પુરી રહ્યા છે પરંતુ દરેક જાણે છેકે બિહારમાં વિજય વિપક્ષો સામેની અનેક મુશ્કેલીઓ નિવારી શકે છે.
કોંગ્રસ માટે રાહુલ ગાંધીની જીત મહત્વની છે. એટલેજ તેમના વોટ અધિકાર યાત્રામાં કોંગ્રેસના મોવડી મંડળે દરેક હોદ્દેદારોને સૂચના આપી છે કે તેમના સાથીઓ સાથે બિહાર પહોંચે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલતી અધિકાર યાત્રામાં સામેલ થાય. એક તરફ વિપક્ષ એક થઇને લડી રહ્યો છે પરંતુ બિહાર કોંગ્રેસના આંતરિક ડખા તેજસ્વી યાદવના કારણે વધુ વિવાદાસ્પદ બન્યા છે.
જે રીતે લાલુ પુત્રને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચીતરાઇ રહ્યો છે તે જોઇને બિહાર કોંગ્રેસની સિનીયર નેતાઓ અને કાર્યકરો નારાજ છે. તેજસ્વી યાદવે તેમના કાર્યકરોને જાહેરમાં કહ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ મુખ્યપ્રધાન પદના ઉમેદવારનું નામ નક્કી થશે પરંતુ તેજસ્વી યાદવના સાથીઓ બહુ ઉત્સાહિત થઇને તેમના નેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ગણી રહ્યા છે.
બિહાર કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં કોંગી મોવડીમંડળનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે બિહારમાં પણ પશ્ચિમ બંગાળ જેવું થઇ રહ્યું છે. ત્યાં મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે શરૂઆતથી જ કોંગ્રેસને નંબર ટુ પક્ષ તરીકે ગણ્યો હતો. કોંગ્રેસમાં ચાલતા ડખા જોઇને ભાજપે જાહેર કરી દીધું છેકે જીતીશું તો નિતીશકુમાર જ મુખ્યપ્રધાન બનશે.
કોંગ્રેસે ચૂંટણી પંચ સામે પડીને તેમજ વોટચોરીના નારા લગાવીને સામે ચાલીને મુસીબત વહોરી છે. કોંગ્રેસની ચૂંટણી વ્યૂહ રચના કરનારા જાણે છેકે રાહુલ ગાંધીએ કાચું કાપીને મુસીબત વહોરી છે કેમકે તેમની પાસે ચૂંટણી પંચ સામેના કોઇ નક્કર પુરાવા નથી. ચૂંટણી કમિશ્નરે ગયા અઠવાડીયે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધીએ કરેલા તમામ દાવા અંગે સ્પષ્ટતા કરી હતી.
રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં થતી ભીડ તેજસ્વી યાદવની હાજરીના કારણે થાય છે. બિહાર કોંગ્રેસ કહે છેકે બિહારના લોકોની સળગતી સમસ્યા નિવારવા માટે યાત્રાની જરૂર હતી તેના બદલે ચૂંટણી પ્રચાર ખોટી દિશામાં જઇ રહ્યો છે.
બિહાર જીતવા કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો વિપક્ષ એગ્રેસીવ છે જ્યારે ભાજપના નેતૃત્વ સાથેનું એનડીએ ગઠબંધન કાચબા ચાલે આગળ વધી રહ્યું છે. હજુ ચૂંટણી જાહેર થઇ નથી. તે જાહેર થશે પછી બિહારમાં ચૂંટણીનો ખરો માહોલ ઉભો થતો જોવા મળશે.


