Editorial

નવા હેડક્વાર્ટરમાં કોંગ્રેસનો સ્પોર્ટમેન સ્પીરીટ છલકાય છે

By GS Team
22 Jan 20253 mins read
This article was originally published on 22 Jan 2025
નવા હેડક્વાર્ટરમાં કોંગ્રેસનો સ્પોર્ટમેન સ્પીરીટ છલકાય છે

- કોંગ્રેસ છોડીને ગયેલા લોકોની પણ તસ્વીરો

- ઇનસાઇડ સ્ટોરી

- દિલ્હીના ત્રિપાંખીયા જંગમાં કોંગ્રસ જીતે તો સમજવું કે નવું હેડક્વાર્ટ ફળ્યું છે

કોંગ્રસનું નવું હેડ ક્વાર્ટર નામે ઇન્દિરા ભવન ટોકિંગ પોઇન્ટ બની ગયું છે. કોંગ્રેસના સલાહકારો માને છે કે નવું મકાન કોંગ્રસની કથળેલી હાલતમાં સુધારો લાવવા નસીબવંતી સાબિત થઇ શકે છે. ૨૪, અકબર રોડ ખાતેનું એડ્રેસ બદલાઇને ૯ એ, કોટલા રોડ થઇ ગયું છે. ૨૦૦-૨૨૫ કરોડના ખર્ચે બંધાયોલું નવું હેડ ક્વાર્ટર ૪૭ વર્ષ બાદ બદલાયું છે. કોંગ્રેસના ટ્રેઝરર અજય માકેને કહ્યું હતું કે લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીએ નવું હેડક્વાર્ટર બાંધ્યું છે. 

જો દિલ્હી વિધાનસભાના ત્રિપાંખીયા જંગમાં કોંગ્રસ જીતે તો સમજવું કે નવું હેડક્વાર્ટ ફળ્યું છે એમ કોંગ્રેસના વફાદાર કાર્યકરો માની રહ્યા છે. દિલ્હીના ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસને તેના એક સમયના સાથી એવા આમ આદમી પાર્ટીના વોટ તોડવાના છે. દિલ્હી વિધાનસભા કોંગ્રેસ માટે પડકાર જનક છે કેમકે વિપક્ષી એકતા આ ચૂંટણીના કારણેજ છિન્નભિન્ન થઇ ગઇ છે.

માકેને જ્યારે એમ કહ્યું કે આજે અમે લોકશાહીના મંદિર સમાન ઇન્દિરા ગાંધી ભવનને હેડક્વાર્ટર બનાવી રહ્યા છે ત્યારે હાજર સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. કોંગ્રેસના સંસદીય પક્ષના વડા સોનિયાગાંધીએ જ્યારે નવી ઓફિસનું ઉદ્દધાટન કર્યું ત્યારે પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. વિપક્ષી એકતા તૂટયા બાદ કોંગ્રસ સામેના પડકારોમાં વધારો થયો છે. રાહુલ ગાંધી તાજેતરમાં બિહાર ગયા ત્યારે તેમના એક સમયના ખાસ મિત્ર એવા તેજસ્વી યાદવને મળી શક્યા નહોતા. તેજસ્વી યાદવેજ કહ્યું  હતું કે ઇન્ડી ગઠબંધન માત્ર લોકસાભાની ચૂંટણી માટેજ હતું.

સરકારે ૧૯ નવેમ્બર ૨૦૦૭ના રોજ કોંગ્રેસ હેડ ક્વાર્ટર માટે જમીન ફાળવી હતી. ૨૦૦૯માં તેનું ભૂમિપૂજન કરીને શિલાન્યાસ કરાયો હોત. હવે ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ  તેને ખુલ્લું મુકાયું હતું. દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ છે. તેનો ૧૩૯ વર્ષનો ઇતિહાસ છે. આઝાદીના સમયમાં કોંગ્રેસે આપેલી લડતની યાદગીરી રૂપે દિવાલો પર ફોટો ફીચર્સ ગોઠવવામાં આવ્યા છે. કોંગ્રેસ છોડીને ગયેલા અને કોંગ્રેસની ટીકા કરતા નેતાઓ જેવાં કે વી.પી સિંહથી માંડીને ગુલામનબી આઝાદની બાદબાકી કર્યા વિના દરેકના ફોટા અને વિગતો સમાવાઇ છે.  જેમ ગુલામનબી આઝાદની તસ્વીર છે એમ સુરેશ પચોરી અને રીટા બહુગુણાની તસ્વીરો પણ જોવા મળે છે.

વિવિધ નેતાઓના ફોટાથી નવી ઓફિસ શોભતી હોવાનું કાર્યકરો કહી રહ્યા છે. નવી ઓફિસમાં અશોક તનવરનો ફોટો  જે ભાજપમાં ગયા પછી પરત આવ્યા હતા તે પણ સમાવાયો છે. કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને પણ માન આપવાની વાત સ્પોર્ટમેન સ્પીરીટ સમાન છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન પણ જોવા મળે છે. કેમકે તે પણ એક સમયે કોંગ્રસમાં હતા. એવીજ રીતે વડાપ્રધાન બનેલા કોંગ્રેસના લોકો મનમોહન સિંહ, પી.વી.નરસિંહરાવ,વી.પી.સિંહ જોવા મળે છે. ચોથા માળે ૨૦૧૪થી ૨૦૨૩નો પક્ષનો ઇતિહાસ જોવા મળે છે જેમાં સોનિયા ગાંધીની સાથે ગુલામનબી આઝાદ ઉભા હોય તેવી તસ્વીર છે. એક ફોટામાં સીએએ અને એનઆરસીનો રાજધાટ ખાતે વિરોધ કરનારામાં રાહુલ ગાંધી,મનમોહન સિંહ વગેરે દેખાય છે. એવુંજ જાન્યુઆરી ૧૯૯૮માં રોહતક ખાતે તે સમયના કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી જોવા મળે છે. આ ધટનાના કેટલાક સમય બાદ સીતારામ પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાયું હતું.