Editorial

પ.બંગાળની મથારવટી મેલી સ્ટીંગ પર કોઇને ભરોસો નથી

By GS Team
15 May 20243 mins read
This article was originally published on 15 May 2024
પ.બંગાળની મથારવટી મેલી સ્ટીંગ પર કોઇને ભરોસો નથી

- સંદેશખાલીની ઘટનાનું ભૂત ધૂણે છે

- ઇનસાઇડ સ્ટોરી

- મહિલાઓના શોષણની વાતને દબાવી દેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે તે શરમજનક છે

આખા દેશમાં ચકચાર ઊભી કરનાર પશ્ચિમ બંગાળના સંદેશખાલીની બળાત્કારની ઘટનાઓનો મુદ્દેા ચૂંટણી વખતે ફરી ચગ્યો છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રસે સ્ટીંગ ઓપરેશન કરીને એવું સાબિત કરવા પ્રયાસ કર્યો છે કે સંદેશખાલીમાં બળાત્કાર જેવું કશંજ બન્યું નથી. 

ભાજપે આખો કેસ કેટલાક લોકોને પૈસા આપીને ઊભો કરાવ્યો છે એવું કહ્યું છે. સંદેશખાલીનો કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ  સુધી પહોંચ્યો ત્યાં સુધી તૃણમૂલ કોંગ્રેસ ચૂપ રહી હતી અને હવે જ્યારે લોકસભાનો જંગ ચાલે છે ત્યારે સ્ટીંગ ઓપરેશન બતાવીને પોતાનો પરનો આક્ષેપ દુર કરવા માંગે છે. તૃણમૂલ કોંગ્રેસે સંદેશખાલી જતા અનેક પ્રતિનિધિ મંડળોને અટકાવીને વિવાદ પણ ઉભો કર્યો હતો.

ચૂંટણી ટાણે અચાનક સ્ટીંગ ઓપરેશન અનેક શંકા ઉભી કરે છે પરંતુ મહિલા મુખ્યપ્રધાનના શાસનમાં સંદેશખાલીમાં મહિલાઓને રાત્રે ખેંચી જઇને બળાત્કાર કરવામાં આવે છે તે વાત મમતા બેનરજીને બહુ ખૂંચતી હતી. 

ભાજપના નેતાઓ કહે છે કે અનેક મહિલાઓએ પોલીસ કેસ કરેલા છે અને ગુનેગારને પકડી લેવામાં આવ્યો છે પછી તે ઘટના ખોટી છે તે સાબિત કરવાનો પ્રયાસ પોતાની જાતને (મમતા) બચાવવા સમાન છે.

 પં.બંગાળમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પોલીસ જઇ શકતી નથી. રાજકારણના પ્રતિસ્પર્ધીઓને હંફાવી દેવા અને તેમની સામે પોલીસ ફરિયાદો વગેરે સામાન્ય વાત બનતી જાય છે. પ.બંગાળમાં હિન્દુ તહેવારો પરના પ્રતિબંધ જેવી ઘટનાઓ વિવાદ કરી ચૂકી છે. 

સંદેશખાલીમાં કશુંજ થયું નથી એમ દર્શાવતા વિડીયોમાં ભાજપના નેતા ગંગાધર કોયલે કોલકત્તા હાઇકોર્ટમાં ગયા હતા અને કહ્યું છે કે મારા વોઇસની નકલ ડિજીટલ સિસ્ટમ હેઠળ કરીને વિડીયો બનાવ્યો છે જે ખોટું છે.

ભોલપુર સંસદીય મતવિસ્તારમાં સંદેશખાલીની અસરગ્રસ્ત મહિલાઓને લઇના ભાજપે પ્રચાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસે પહેલાં સંદેશખાલીમાં કંઇ થયું નથી તેવો વિડીયો બહાર પાડયો છે અને હવે તે સંદેશખાલીની ઘટના અંગે તે રાષ્ટ્રપતિને મળવાના છે. સંદેશખાલીની ઘટના સમગ્ર દેશ માટે શરમજનક છે જો તેને મમતા બેનરજીના પક્ષને બદનામ કરવા માટે તૈયાર કરાઇ હોય તો તે વધુ ગંભીર બાબત બની શકે છે. પરંતુ આ ઘટના ખોટી છે તેવું દર્શાવતા સ્ટીંગમાં ભાજપના નેતા જોવા મળે ત્યારે સ્ટીંગ પર શંકા જાય તે સ્વભાવિક છે.

પ.બંગાળની મથારવટી મેલી છે. ત્યાં ગુંડાગીરી, ઘૂસણખોરી વગેરેને પડદા પાછળ સરકારનો ટેકો છે એવા આક્ષેપ વારંવાર થઇ ચૂક્યો છે. મુખ્યપ્રધાન મમતા બેનરજી ભાજપ અને વડાપ્રદાન મોદીના ઘોર વિરોધી છે. 

ભાજપને રાહત એ વાતની છેકે મમતા બેનરજી વિપક્ષી જોડાણ સાથેના પ્રાદેશિક પક્ષના કોઇ નેતાના પ્રચારમાં ગયા નથી. મમતા ક્યારે શું કરશે તેની કોઇને ખબર નથી. તેમની રાજકીય ચાલ અનિશ્ચિત જોવા મળે છે. મમતાની નજીકના લોકો જાણે છે કે મમતા બેનરજી વિપક્ષી જોડાણના નેતાઓથી દૂર રહે છે. વિપક્ષી જોડાણના નેતાઓને તે પ.બંગાળમાં પ્રચાર માટે બોલાવતા પણ નથી. પ.બંગાળમાં બેઠકોની ફાળવણી હોય કે રાહુલ ગાંધીને વેલકમ કરવાના હોય ત્યારે મમતા બેનરજીએ પોતાનું ધાર્યું કર્યું છે.  સંદેશખાલીની ઘટનામાં કોણ સાચું અને કોણ જુઠું તે તપાસ કર્યા પછી ખબર પડશે. પરંતુ જે રીતે મહિલાઓના શોષણની વાતને દબાવી દેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે તે શરમજનક છે.