Get The App

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા 1 - image

ધંધુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

પોરબંદરથી ઘરવખરીનો સામાન લઈને શિક્ષક પોતાના પરિવારને લઈને દાહોદ જઈ રહ્યાં હતા

ભાવનગર - ધંધુકા-રાણપુર રોડ પર કોટડા ગામ નજીક ટ્રકે અડફેટે લેતા કારમાં સવાર પોરબંદરના યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે કારમાં સવાર પત્નિ અને બાળક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલક સામે ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ખાતે રહેતા મોહનભાઈ પરબતભાઈ વાસણ (ઉ.વ.૩૭) દાહોદના લીમખેડા ખાતે શિક્ષકની નોકરી કરતા હોય અને છેલ્લા ૬ માસથી લીમખેડા ખાતે એકલા રહેતા હતા અને હાલ વેકેશન હોવાથી ઘરવખરીનો સામાન ભરી પરિવાર સાથે લીમખેડા જવા માટે તેમના મિત્ર મહેન્દ્રભાઈ રામભાઈના જીજે-૨૫-ડબલ્યુ-૧૪૪૮ નંબરના પીકઅપ વાહનમાં ઘરવખરીનો સામાન ભરીને તથા મોહનભાઈ તથા તેમના પત્નિ લક્ષ્મીબેન, દિકરો જાસ્મીન અને ધનંજય દેવાભાઈ મોકરીયા જીજે-૦૧-કેક્યૂ-૩૪૫૭ નંબરની કારમાં ગત રાત્રિના લીમખેડા જવા માટે નિકળ્યા હતા. જે બાદ આજે વહેલી સવારના ૪.૧૫ કલાકના અરસામાં ધંધુકા-રાણપુર રોડ પર કોટડા ગામ પાસે પહોંચતા સામેથી આવી રહેલા જીજે-૦૪-એક્સ-૬૭૨૫ નંબરના ટ્રકના ચાલકે રોંગ સાઈડમાં આવી મોહનભાઈની કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં મોહનભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેમના પત્નિ, પુત્ર સહિત ત્રણ લોકોને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર માટે ધંધુકા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મહેન્દ્રભાઈ રામભાઈએ ધંધુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી જનાર જીજે-૦૪-એક્સ-૬૭૨૫ નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.