Get The App

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત 1 - image

જામનગરના બેડેશ્વરમાં ગળાફાંસો ખાધો : ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિએ ઝેરી દવા પી લેતા મોત

જામનગર, ખંભાળિયા : જામનગરના બેડેશ્વર નજીક સદગુરૂ કોલોની સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો હતો. પત્નીએ લાલપુરની કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હોવાથી અદાલતની નોટિસ આવતાં મનમાં લાગી આવવાથી આપઘાત કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના બેડેશ્વરની સદ્ગુરૂ સોસાયટી વિસ્તારમાં રહેતા આસીફમીયા કાદરમીયા બાનવાઇ (ઉ.વ. 32)એ પોતાના ઘરે છતનાં એંગલમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મરણજનારના લગ્ન દશેક વર્ષ પહેલા હુશેનાબેન સાથે થયા હતા અને બાદમાં બંને વચ્ચે છૂટાછેડા થયેલા હતા. ત્યારબાદ હુસેનાબેને લાલપુર કોર્ટમાં ભરણપોષણ અંગે કેસ કરતા જેની નોટિસ મળતા મરણજનારને મનમાં લાગી આવતાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.

ભાણવડ તાલુકાના પાછતર ગામે રહીને મજૂરી કામ કરતા ભોલુભાઇ ઉર્ફે ભાયાભાઇ ગીલુભાઇ ખરતે (ઉ.વ. 50)ને દારૂ પીવાની ટેવ હોય, તેમના પત્નીએ ભોલુભાઇ ઉર્ફે ભાયાભાઇને દારૂ પીવાની ના કહીં, ઠપકો આપતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું, જેથી તેમણે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.