ડિંડોલીમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા તરૂણનું મોત

પ્રતિનિધિ દ્વારા, સુરત, શનિવાર
ડિંડોલીના આર.ડી નગર મા અઠવાડિયા પહેલા ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા પરિવારના સાત સભ્યો પૈકી 17 વર્ષીય તરુણનું સારવાર દરમિયાન શુક્રવારે સાંજે મોત નીપજ્યું હતું.
નવી સિવિલ થી મળેલી વિગત મુજબ ડિંડોલીના આર.ડી નગરમાં રહેતા 39 વર્ષીય છોટેલાલ રામકિશોર રામાણીના ગત તા. 15મી રાતે ઘરમાં સિલેન્ડર માંથી ગેસ લિકેજ થતાં આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા તમે ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં છોટેલાલ, તેમની પત્ની સંતોષીદેવી સહિતના પરિવારના 5 સભ્યો અને સબંધીનો પુત્ર રાહુલ રાજદેવ પ્રસાદ દાઝી જતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન રાહુલનું શુક્રવારે સાંજે મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે રાહુલ મૂળ બિહારના નાલંદાનો વતની હતો. તે ચાર પાંચ માસ પહેલા રોજીરોટી માટે સુરત ખાતે આવીને મામા છોટેલાલના ઘરે રહેતો હતો. અને તે જરી કામ કરતો હતો. તેના બે ભાઇ અને બહેન છે. એના પિતા વતનમાં ખેતીકામ કરે છે. એવું તેમના સંબંધી એ કહ્યું હતું. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.




