Gujarat

મહિલા PSI ઉપર કોર્ટમાં હુમલો: 8 દિવસ પછી FIR નોંધાઈ

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
મહિલા PSI ઉપર કોર્ટમાં હુમલો: 8 દિવસ પછી FIR નોંધાઈ

- વકીલ છાયાબેન કોરીના મળતીયા વકીલોના 100 જેટલા સભ્યોના ટોળાએ ફરિયાદીના વાળ પકડીને બિભત્સ ગાળો આપી હતી

અમદાવાદ, તા. 16 માર્ચ 2022, બુધવાર

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ષાબેન મનુભાઈ જાદવ (ઉં. 30 વર્ષ) ઉપર કોર્ટમાં ફરજ દરમિયાન હુમલો થયો હતો. ગત 7 માર્ચના રોજ આ પ્રકારે હુમલાની ઘટના બની હતી. ત્યાર બાદ મહિલા PSIએ પોતાની ફરિયાદ ન લેવાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને એક પોલીસકર્મી તરીકે પોતે અસુરક્ષિત છે સહિતના આક્ષેપો પણ કર્યા હતા. ત્યારે હવે છેક 8 દિવસ બાદ આ મામલે FIR નોંધાઈ છે. 

બનાવની વિગતો પ્રમાણે વકીલ છાયાબેન કોરીની ઈ.પી.કો. કલમ 332, 506(1) અંતર્ગત અટકાયત થઈ હતી. તેમને ઘી કાંટા કોર્ટ-14માં રજૂ કરવાના હતા તે દિવસે ઘી કાંટા કોર્ટ-14ના બીજા માળે કોર્ટરૂમની બહાર PSI વર્ષાબેન જાદવ અને તેમના સાથે રહેલા ફરિયાદી અને અન્ય મહિલા પોલીસ, સ્ટાફના સભ્યો સાથે ધક્કામુક્કી અને ટપલીદાવ કરવામાં આવ્યો હતો. 

વકીલ છાયાબેન કોરીના મળતીયા વકીલોના 100 જેટલા સભ્યોના ટોળાએ ફરિયાદીના વાળ પકડીને બિભત્સ ગાળો આપી હતી અને સ્ટાફના સદસ્યો સાથે પણ ધક્કામુક્કી કરીને કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી. ફરિયાદ પ્રમાણે જયમીન પટેલ, મનીષા પરીખ, નીતા પરમાર સહિતના વકીલોએ ફરિયાદીને ટાર્ગેટ કરીને ચોટલો પકડીને વાળ ખેંચીને નીચે પાડી દીધા હતા અને ગડદા પાટુંનો માર માર્યો હતો. તે સિવાય ટોળામાં રહેલા જફરખાન પઠાણ, નિર્મળ રાવલ, હેમંત નવલખા, પંકજ સોલંકી, અશોક શર્મા, ભરત સહિતના ટોળામાં રહેલા અન્ય લોકો હોબાળો કરીને અપશબ્દો બોલતા હતા અને પીએસઆઈ જાદવને વધારે માર મારવા માટે ઉશ્કેરતા હતા. 

આ બનાવ દરમિયાન પીએસઆઈ જાદવને તેમના સ્ટાફના સદસ્યોએ બચાવીને 108 મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાં સારવાર માટે ટ્રોમા વોર્ડમાં ઈનડોર દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. તે સિવાય અન્ય એક મહિલાને મૂઢમાર વાગ્યો હોવાથી તેમને પણ સિવિલમાં આઉટડોર સારવાર આપવામાં આવી હતી.