- એકાદ માસ પૂર્વે ટ્રેક્ટર સાથે બાઈકનો અકસ્માત થયો હતો
- અકસ્માત બાદ ચેપ લાગતા મહિલાનું મોત નિપજ્યું, પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો
પાલિતાણા તાલુકાના રાણપરડા ગામના વતની અને હાલ સુરત રહેતા મગનભાઈ મનજીભાઈ ચૌહાણ ગત તા.૩૧-૦૧-૨૦૨૬ના રોજ તેમના પત્નિ રસીલાબેન સાથે તેમની જીજે-૦૫-પીડબલ્યુ-૩૩૪૨ નંબરની બાઈક લઈને ભાવનગરથી તેમના ગામ રાણપરડા મુકામે જઈ રહ્યાં હતા ત્યારે સાંજના ૭ કલાકના અરસામાં પાલિતાણા તાલુકાના ટોડી ગામના પાટીયા પાસે પહોંચતા પાલિતાણા તરફથી આવતા ટ્રેક્ટર ટ્રોલીએ તેમની બાઈક સાથે અકસ્માત સર્જતા તેમને મુઢ ઈજા પહોંચી હતી. જ્યારે તેમના પત્નિને માથાના ભાગે ઈજા થતાં ઈમર્જન્સી ૧૦૮ મારફત પાલિતાણાની ખાનગી હોસ્પિટલ બાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કર્યાં બાદ રજા આપવામાં આવી હતી. જે બાદ ગત તા.૦૯-૦૩-૨૦૨૬ના રોજ તેમના પત્નિ રસીલાબેન મગનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦)ની તબિયત લથડતા ફરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં રિપોર્ટમાં તેમના પત્નિને ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હતું અને બાદમાં ગત રોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


