વડોદરા, કિશનવાડી સરકારી દવાખાને પ્રસૂતિ પછી મહિલાની તબિયત બગડતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
પાદરા તાલુકાના પિંડિપા ગામે રહેતા સાગરના લગ્ન એક વર્ષ પહેલા કિશનવાડી વિસ્તારમાં રહેતી કાજલ (ઉં.વ.૨૨) સાથે થયા હતા. સાગર મુવાલ ગામે હેર કટિંગ સલૂનમાં નોકરી કરે છે. કાજલ પ્રેગ્નન્ટ થતા પ્રસૂતિ માટે પિયરમાં આવી હતી. આજે બપોરે તેને પીડા શરૃ થતા કિશનવાડી વિસ્તારના સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. સાગરનું કહેવું છે કે, માત્ર ૧૫ મિનિટમાં ઓપરેશન કરીને ડિલિવરી કરાવતા એક બાળકનો જન્મ થયો હતો. પરંતુ, મારી પત્નીની તબિયત વધારે બગડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો. ડોક્ટરોએ ૧૫ મિનિટમાં કઇ રીતે ઓપરેશન કર્યું , તે અંગે સાગરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. કાજલના મોતનું કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે. જ્યારે નવજાત શિશુને પી.આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યું છે.


