Gujarat

વડોદરામાં વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાની માગણી સાથે તંત્રને ઢંઢોળવા આરતી કરાઇ

By GS Team
31 Dec 20212 mins read
This article was originally published on 31 Dec 2021
વડોદરામાં વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાની માગણી સાથે તંત્રને ઢંઢોળવા આરતી કરાઇ

- મહી નદીને પણ ચોખ્ખી કરવા ગઈ કાલે આરતી કરી હતી

- નદી ઉત્સવની ઉજવણી કરતું તંત્ર મહી અને વિશ્વામિત્રી સ્વચ્છ કરાવે તેવી રજૂઆત

વડોદરા, તા. 31 ડિસેમ્બર

ગુજરાત સરકારે સફાઈ અને લોકજાગૃતિ ના નામે નદી ઉત્સવની ઉજવણી શરૂ કરી છે .ગુજરાતની એક નહીં પણ વીસ નદી પ્રદૂષિત છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પણ ગટરના દૂષિત પાણીથી મેલી બની છે. નદીના શુદ્ધિકરણની વાતો થાય છે, પરંતુ નદી ચોખ્ખી બની શકી નથી. શાસકો નદીને શુદ્ધ કરવાની વાતો કરવાને બદલે નક્કર કામગીરી કરે તે માટે તંત્રને ઢંઢોળવા અને તેની આંખો ખોલવા ના પ્રયાસ રુપે આજે નદી કિનારે આરતી રાખવામાં આવી હતી .વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે પસાર થતી મહિ નદી પણ દૂષિત બની છે. મહિને સ્વચ્છ બનાવવાની માંગ સાથે ગઈકાલે વાસદ મહીસાગર ખાતે આરતી કરવામાં આવી હતી.


વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર કેટલાય ઠેકાણેથી ગટરના પાણી છોડવામાં આવે છે. કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સીધું નદીમાં ઠલવાઇ નદીને પ્રદુષિત કરવામાં આવી રહી છે .વરસાદી કાંસમાં વરસાદને બદલે બારેમાસ ગટરના પાણી વહે છે  આ પાણી પણ નદીમાં જાય છે .નદી ગંદકીના કારણે મચ્છર પેદા કરતું સ્થળ બની ગઈ છે. 17 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ડ્રેનેજના પાણી રોકવા સરકારના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ 551 કરોડના ખર્ચની એક યોજના તૈયાર કરાઈ છે. જે માટે 60 ટકા ફંડિંગ કેન્દ્ર સરકાર આપવાની છે. 10 ટકા રાજ્ય સરકાર અને 30 ટકા નાણાં કોર્પોરેશને કાઢવા પડશે. આટલો ખર્ચ કરવા છતાં નદી ચોખ્ખી ક્યારે થશે તે સવાલ છે. લોકોને નદી ઉત્સવ ના નામે નદી ચોખ્ખી રાખવા સલાહ આપું તંત્ર પહેલા નદીમાં પાણી બંધ કરાવી ઠોસ કામગીરી કરે તેવી રજૂઆત આરતી કરનારા સામાજિક કાર્યકરોએ કરી છે.