Gujarat

સુરતમાં 11 વર્ષની દીકરી સાથે માતા-પિતા સંસારની મોહમાયા ત્યાગી સંયમ સ્વીકારશે

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
સુરતમાં 11 વર્ષની દીકરી સાથે માતા-પિતા  સંસારની મોહમાયા ત્યાગી સંયમ સ્વીકારશે


-મા-દીકરીની સુરતમાં અને પિતાની દીક્ષા આંધ્રપ્રદેશમાં થશે  

-પાંચ વર્ષ અગાઉ 13 વર્ષના પુત્રએ દીક્ષા લીધી હતી

સુરત

સુરતમાં હાલમાં જ ૭૭ સામૂહિક દીક્ષાએ દેશભરમાં દીક્ષાધર્મનો જયનાદ ગજવ્યો. જેમાં આઠથી વધુ પરિવારોએ સંગાથે સંયમમાર્ગે પ્રયાણ કર્યુ હતુ ત્યારે સુરતમાં વધુ એક પરિવાર સંયમમાર્ગે ચાલવા તૈયાર થઇ ગયો છે. ૧૧ વર્ષની દીકરી સાથે માતા-પિતા દીક્ષા લેશે જો કે માતા-દીકરીની દીક્ષા સુરતમાં અને પિતાની દીક્ષા આંધ્રપ્રદેશમાં થવાની છે.

સુરતનાં વેસુમાં નંદનવન-૩ માં રહેતા મૂળ ધાનેરા નિવાસી નિરવભાઇ વલાણી(ઉ.૪૪), તેમની પત્ની સોનલબેન(ઉ.૪૩) અને તેઓની પુત્રી વિહા(ઉ.૧૧) આગામી ફેબુ્રઆરીમાં દીક્ષા થશે. માતા-પુત્રી તા-૧૦મી ફેબુ્રઆરીએ આચાર્ય રશ્મિરત્નસૂરીજીના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે જ્યારે નિરવભાઇ શ્રી ગુણહંસવિજયજી મ.સા.ના હસ્તે તા-૧૭મી ફેબુ્રઆરીએ આંધ્રપ્રદેશના તેનાલી ખાતે રજોહરણ ગ્રહણ કરશે. મુમુક્ષુ નિરવભાઇ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાધન-સંપન્ન પરિવાર તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી સંયમની સવારી કરશે. પાંચ વર્ષ અગાઉ તેમના પુત્ર કલશે દીક્ષા લીધી હતી. ત્યારે તેની ઉંમર ૧૩ વર્ષની હતી. હલ તેઓ ક્ષમાશ્રમણવિજયજી મહારાજ તરીકે સાધુજીવન ગાળી રહ્યા છે. પુત્રના સંયમના વૈભવને જોઇને આખો પરિવાર દીક્ષા માટે પ્રેરિત થયો. જો કે સોનલબેનની ઇચ્છા તો લગ્ન પહેલા પણ દીક્ષા લેવાની હતી જે સંજોગોવશાત શક્ય બન્યુ ન હતુ. પરંતુ હવે સંયમમાર્ગ મોકળો થતા ખુશ છે. સુરતમાં વેસુ ભગવાન મહાવીર કોલેજની બાજુમાં પુણ્યભૂમિ ખાતે દીક્ષા થશે.


સ્ટાઇલિશ 11 વર્ષની વિહાને 1500થી વધુ સંસ્કૃત શ્લોક કંઠસ્થ

મુમુક્ષુ વિહાના પિતાના જણાવ્યા અનુસાર વિહા ધો-૩ સુધી ભણેલી છે. તેને મોબાઇલનો ખુબ શોખ છે. છેલ્લા ત્રણ વર્ષથી તે મહારાજ સાહેબ સાથે જ રહે છે. વિહાને ૧૫૦૦થી વધુ સંસ્કૃત શ્લોકો કંઠસ્થ છે. તે પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, નવસ્મરણ, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજયશતક, જ્ઞાાનસાર, યોગસાર, તત્વાર્થ, વિતરાગ સ્તોત્ર, જીવવિચાર, નવતત્વ, દંડક, સંબોધ સતરી વેગેરનો અભ્યાસ ધરાવે છે.