Water Crisis in Saragwada Dholka : એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં ફૂંકી રહી છે, તો બીજી તરફ એ જ ઇતિહાસની સાક્ષી પૂરતા ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે અને સ્થાનિકો-મહિલાઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ તળાવના ગંદા પાણીમાં કપડાં-વાસણ ધોવા મજબૂર બની છે. આમ, મ્યુઝિયમ પાછળ કરોડોનો ખર્ચ કરાશે, પરંતુ પ્રજાની તરસ છિપાવવામાં તંત્ર નાકામ રહ્યું છે. તેવામાં સવાલ થાય છે કે, શું આને જ સરકાર 'વિકાસ' કહે છે?
લોથલના આંગણે તરસ્યું ગામ 'સરગવાડા'
અમદાવાદના ધોળકાના ભાલ પંથકમાં આવેલા સરગવાડા ગામે ઉનાળાની શરૂઆત પહેલા જ 'જળ સંકટ' ઘેરાયું છે. છેલ્લા બે અઠવાડિયાથી નળમાં પાણી ન આવતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. ગામના સીમ વિસ્તારમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું લોથલ મ્યુઝિયમ બની રહ્યું છે, પરંતુ 'દીવા તળે અંધારું' હોય તેમ ખુદ સરગવાડા ગામ પાણી માટે રઝળપાટ કરી રહ્યું છે. પાણી માટે પોકાર કરતી મહિલાઓએ આપવીતી વ્યક્ત છે કે, 'ઘરકામ કરવું, રસોઈ બનાવવી કે બાળકોને સાચવવા કરતા પણ વધુ સમય પાણી ભરવામાં જાય છે.'

પાણી માટે વલખાં મારતી મહિલાઓ
ભાલ વિસ્તાર હોવાથી હાલ ચણા અને ઘઉંની સિઝન ચાલી રહી છે, જેના કારણે પુરુષો ખેત મજૂરીએ જાય છે. તેવામાં ઘરની તમામ જવાબદારી સાથે પાણીની વ્યવસ્થા કરવાનું ભારણ મહિલાઓ પર આવી પડ્યું છે.

પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદે કનેક્શન સામે તંત્ર મૌન!
સ્થાનિકો મુજબ, ભોળાદ ગામ પાસેથી પસાર થતી મુખ્ય પાઈપલાઈનમાં અનેક ગેરકાયદે કનેક્શન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાલ પંથકની આ ધરતી પર આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું 'અજવાળું' પાથરવાની વાતો કરતું તંત્ર પોતાના જ નાક નીચે ચાલતા ગેરકાયદે કનેક્શનો સામે આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સવાલ એ થાય છે કે, આ કનેક્શનો કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે? તંત્રના મૌન પાછળનું કારણ શું?
આ પણ વાંચો: અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ
મહિલાઓએ જણાવ્યું હતું કે, 'પાણીની એટલી બધી સમસ્યા છે કે અમે 15 દિવસથી હેરાન થઈએ છીએ. પીવાનું પાણી લેવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે. તળાવના ગંદા પાણીમાં કપડાં ધોવા પડે છે, જેનાથી બીમારીનો ભય રહે છે. સરકાર મ્યુઝિયમ બનાવે છે પણ અમને પાણી નથી આપી શકતી.'

પાણી સમસ્યાની ગંભીરતાને જોતા હવે જિલ્લા વિકાસ અધિકારી(DDO) પોતે સરગવાડા ગામની મુલાકાત લેશે કે નહીં. તેમજ પાણીની પાઈપલાઈનમાં ચાલતા ગેરકાયદે કનેક્શનો સામે કડક કાર્યવાહી થાય અને ગામને નિયમિત પાણી મળતું રહે તેવી ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે.


