Get The App

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો

લોકોનુ વિદેશગમન, મોટી સંખ્યામાં મરણ તથા ડુપ્લીકેટ મતદારોના નામ સરની કામગીરી સમયે રદ કરી દેવાયા

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો 1 - image

અમદાવાદ,મંગળવાર,24 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ વોર્ડ વાઈસ મતદાતાઓ જાહેર કરવામા આવ્યા છે. વર્ષ-૨૦૨૧માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીમાં વર્ષ-૨૦૨૬માં આઠ લાખ જેટલા મતદારોનો ધરખમ ઘટાડો થવા પામ્યો છે. અંદાજે પાંચ લાખ પુરુષ અને ત્રણ લાખ મહિલા મતદારો ગત ચૂંટણીની તુલનામા ઘટી ગયા છે. શહેરમાંથી લોકોનુ વિદેશગમન ઉપરાંત કોરોના મહામારીના સમયમાં મોટી સંખ્યામાં શહેરમા થયેલા મોત તેમજ એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોના નામ સરની કામગીરી સમયે રદ કરી દેવામા આવ્યા હોવાથી મતદારોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હોવાનુ માનવામા આવી રહયુ છે.

વર્ષ-૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી એ સમયે શહેરનો કુલ ૪૮૦.૮૮ ચોરસ કિલોમીટર વિસ્તાર અને ૫૬.૬૪ લાખની વસ્તી અંદાજવામા આવી હતી. ગત ચૂંટણીમાં શહેરના ૪૮ વોર્ડમાં કુલ ૨૪૧૪૨૫૬ પુરુષ અને ૨૨૧૦૨૧૪ મહિલા મતદારો તેમજ ૧૬૮ અન્ય મતદારો મળી કુલ ૪૬૨૪૬૩૮ મતદાર હતા.વર્ષ-૨૦૨૬ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ ૨૩ માર્ચના રોજ જે વોર્ડ વાઈસ મતદાતાઓની યાદી જાહેર કરવામા આવી છે.તે મુજબ શહેરમાં કુલ ૧૯૬૭૧૭૯ પુરુષ તથા ૧૮૩૩૧૩૬ મહિલા મતદાર તેમજ ૧૯૨ અન્ય મળી કુલ ૩૮૦૦૫૦૭ મતદાતાઓ છે.શહેરના કોટ વિસ્તાર ખાડીયા ઉપરાંત દરિયાપુર,જમાલપુર, શાહપુર જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મતદારો અન્ય વોર્ડમાં રહેવા માટે જતા રહયા હોવાથી આ વખતે મતદાતાઓની ઘટેલી સંખ્યાની સાથે ખાસ કરીને કોટ વિસ્તારમા આવેલા વોર્ડમાં બેઠકો જીતવા માટે ભાજપ,કોંગ્રેસ કે પછી અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોને ખૂબ પરસેવો પાડવો પડશે તે નકકી છે.