વડોદરા કોર્પોરેશન પોતાના પ્રોજેક્ટો માટે પ્લાનિંગ અને ડિઝાઇનિંગનું કામ પોતાના આર્કિટેકટો પાસે કરાવશે

- સલાહકારોને રાખીને આર્થિક ભારણ નહીં વધારે
- કોર્પોરેશનના આર્કિટેકટો અત્યાર સુધી બીજી જ કામગીરી કરતા હતા
વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વર્ષ 2014 થી પોતાના ત્રણ આર્કિટેક્ટ છે, પરંતુ તેઓ પછી બીજી કામગીરી કરવામાં આવતી હતી. ડિઝાઇનિંગ કે પ્લાનિંગની કોઈ કામગીરી કરાવાતી ન હતી. જેથી કોર્પોરેશનની સ્થાયી સમિતિ એ હવેથી ત્રણેય આર્કિટેકટ પાસે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં વિવિધ પ્રોજેક્ટો માટે સલાહકારની નિમણુક કરવા દરખાસ્ત રજુ થઇ હતી જેમાં અગાઉ વિવાદિત બનેલી વાપકોસ કંપની નિયુક્ત ન કરવા ભલામણ થઈ હતી ત્યારે પક્ષના પૂર્વ નેતા સ્થાયી સમિતિના ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરી હતી કે કોર્પોરેશનમાં વર્ષો અગાઉ પ્રોજેક્ટના કામો ઇજનેર અને કાર્યપાલક ઇજનેર પાસે કરાવતા હતા. તે સમયે પ્રોજેક્ટ મેનેજમેન્ટ, થર્ડ પાર્ટી જેવી કોઈ પાર્ટી પણ કામ કરતી ન હતી. હવે આ બધું લાવવામાં આવતા તેઓને ફી વગેરે ચૂકવતા જે તે પ્રોજેક્ટ કોષ્ટ વધે છે.
બીજી બાજુ કોર્પોરેશનમાં આર્કિટેક્ટ પાસે કામગીરી કરાવાતી નથી. જેઓ ખરેખર કામ કરવા સક્ષમ છે. તેઓ પાસે ક્લાર્કની કામગીરી બંધ કરાવી પ્રોજેક્ટ પ્લાનિંગ કરાવાય તો કોર્પોરેશન પર આર્થિક ભારણ ઘટે. જોકે આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષ એ જણાવ્યું હતું કે કોઈ મોટો પ્રોજેક્ટ હોય તો તે પ્રોજેક્ટ નિયુક્તિ કરવાની હોય તો ઠીક છે. બાકી કોર્પોરેશનના કામો માટે હવે પ્લાનિંગ અને ડિઝાઇનિંગનું કામ કોર્પોરેશનના આર્કિટેકટ કરશે. તેઓનો અત્યાર સુધી ઉપયોગ કરતો ન હતો. તેઓ પાસે સ્મશાન નવીનીકરણ અને તળાવ બ્યુટીફીકેશન માટે પ્લાનિંગની કામગીરી પણ શરૂ કરાવી દીધી છે. આમ કરતાં કોર્પોરેશન પર આર્થિક ભારણ પણ ઘટશે.




