આચારસંહિતના અમલ માટે તંત્રની કાર્યવાહી
એફએસટી, એસએસટી, વીએસટી, વીવીટી સહિતની ૩-૩ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ બાજનજર રાખશે
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આગામી ૨૩મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનને પારદર્શી અને ન્યાયી બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે વિશેષ આયોજન કર્યું છે. ચૂંટણી ખર્ચ અને ગેરરીતિઓ પર દેખરેખ રાખવા માટે એફએસટી,એસએસટી,વીએસટી અને વીવીટી સહિતની વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક વિભાગની ૩-૩ ટીમો કાર્યરત રહેશે.
ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ વિધાનસભાના મુખ્ય ત્રણ એન્ટ્રી પોઈન્ટ્સ પર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ટીમો ૨૪ કલાક કાર્યરત રહીને શંકાસ્પદ વાહનોની તપાસ કરશે. જેથી નાણાકીય હેરફેર કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો હેરફેર અટકાવી શકાશે. ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


