Gujarat

વડોદરા: પ્રાણીસંગ્રહાલયમાં અઢી વર્ષના સિંહ સમ્રાટનું કિડનીની બીમારી થી મોત

By GS Team
23 Sep 20221 min read
This article was originally published on 23 Sep 2022
વડોદરા: પ્રાણીસંગ્રહાલયમાં અઢી વર્ષના સિંહ સમ્રાટનું કિડનીની બીમારી થી મોત

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સયાજી બાગમાં ડિસેમ્બર 2021 માં જુનાગઢ પ્રાણીસંગ્રહાલય માંથી લાવવામાં આવેલા સિંહની જોડીમાંથી અઢી વર્ષના સમ્રાટ સિંહનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું છે.

આ અંગે વડોદરા સયાજી બાગ પ્રાણીસંગ્રહાલયના ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,

ડિસેમ્બર 2021 માં જુનાગઢ પ્રાણીસંગ્રહાલયમાંથી સિંહની જોડી વડોદરા લાવવામાં આવી હતી અને તેઓનું  નામકરણ કરવામાં આવ્યું હતું જેમાં સિંહનું નામ સમ્રાટ અને સિંહણનું નામ સમૃદ્ધિ રાખ્યું હતું.

  સમ્રાટ સિંહ થોડા દિવસ પહેલા બીમાર પડતા તેના અલગ અલગ ટેસ્ટ કરાવવામાં આવતા તેને ક્રોનિકલ કિડની નો રોગ હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારબાદ આણંદ ખાતેની વેટરનીટી હોસ્પિટલ ખાતે ના ડોક્ટરની ટીમને બોલાવીને તપાસ કરાવવામાં આવી હતી જે બાદ ગયા સોમવારે સમ્રાટ સિંહ ને વધુ બીમારી લાગતા તેને આનંદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરે મોત નિપજ્યું  હતું.

તેમણે જણાવ્યું હતું કે સમ્રાટનો મૃતદેહ આજે વડોદરા લાવવામાં આવ્યો હતો અને ઝૂઓ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે તેને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે હાલમાં હવે એક સિંહ અને સિંહણ રહ્યા છે જેમાં સિંહ મોટી ઉંમરનો છે. જેથી હવે એક નાની ઉંમરનો સિંહ લાવવાનો પ્રયત્ન કરીશું.

અત્રે યાદ આપવું જરૂરી છે કે 2021 માં સિંહણ નું મરણ થયું હતું ત્યારબાદ જુનાગઢ થી એક જોડી લાવવામાં આવી હતી.