Gujarat

વડોદરા: પોલીસ કર્મીના મકાનમાં જ તસ્કરોનો હાથફેરો: સાવલી લગ્ન પ્રસંગે ગયેલા એ.એસ.આઈ.ના મકાનમાંથી 2.92 લાખની ચોરી

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
વડોદરા: પોલીસ કર્મીના મકાનમાં જ તસ્કરોનો હાથફેરો: સાવલી લગ્ન પ્રસંગે ગયેલા એ.એસ.આઈ.ના મકાનમાંથી 2.92 લાખની ચોરી

વડોદરા, તા. 07

છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ વિભાગને પડકાર ફેંકી રહ્યા છે. હતા. તેવામાં હવે તસ્કરોએ પોલીસ કર્મીના મકાનને જ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પોલીસ કર્મીના બંધ ઘરને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના ઘરેણા મળી 2.92 લાખની મત્તા ચોરી નાસી છૂટતાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી  મારુતિધામ સોસાયટીમાં રહેતા અને વડોદરા પોલીસ વિભાગમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા શાંતિલાલ પરમાર 04 થી ફેબ્રુઆરીના રોજ મકાનને લોક કરી પરિવાર સાથે સાવલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ગઈકાલે બપોરના સુમારે પાડોશીએ તેમના ઘરનું તાળું તૂટેલું હોવાનું જાણ કરી હતી. જેથી પરિવાર વડોદરા દોડી આવ્યો હતો. ઘરનો સામાન વેરવિખેર હાલતમાં નજરે ચડયો હતો. બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી 1.25 લાખની કિંમતના 03 સોનાના સેટ, 25 હજાર કિંમતની સોનાની લકી, 15 સોનાની વિટીઓ, 04 સોનાના પેન્ડલ, ચાંદીના પાયલ, 05 કમરના ઝુડા,  05 ચાંદીની લકી, 11 ચાંદીના સિક્કા, 03 ચાંદીના કડા અને ચાંદીની રાખડી મળી કુલ 2.92 લાખની ચોરી કરી નાસી છૂટયા હતા. તેમના પુત્રની ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.