Get The App

વડોદરા: 'ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી', સીનિયર સિટીઝનની દૂષિત પાણીની રજૂઆત પર નેતાનો ઉદ્ધત જવાબ

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: 'ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી', સીનિયર સિટીઝનની દૂષિત પાણીની રજૂઆત પર નેતાનો ઉદ્ધત જવાબ 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શુક્રવારે નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે નાગરિકો માટે 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના દાવા સાથે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર 'કામ બતાવવા' પૂરતો જ બનીને રહી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમમાં હાજર પ્રજાના પ્રતિનિધિઓએ જ જનતાને સરકારી અને ઉદ્ધત જવાબો આપતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા એક સીનિયર સિટીઝનને પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જાહેરમાં કહી દીધું હતું કે, "ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી!"

રાજ્યમંત્રી અને ધારાસભ્યને ઘેરીને કરી ઉગ્ર રજૂઆત

કાર્યક્રમનો શુભારંભ રાજ્યમંત્રી મનીષા વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો અને અતિથિ વિશેષ તરીકે કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 1 માંથી આવેલા એક જાગૃત સીનિયર સિટીઝને રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી લીધા હતા. તેમણે પ્રયાગ ચોકડી પાસેની જૂની પાણીની લાઈન બદલવા અંગે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે, જો આ લાઈન બદલાય તો વિસ્તારની 23 સોસાયટીઓમાં લાંબા સમયથી ચાલતી દૂષિત પાણીની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

વડોદરા: 'ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી', સીનિયર સિટીઝનની દૂષિત પાણીની રજૂઆત પર નેતાનો ઉદ્ધત જવાબ 2 - image

વર્ષ 2024થી ધક્કા ખાઈ રહ્યા છે વૃદ્ધ, CMOના આદેશની પણ ઐસીતૈસી!

પીડિત સીનિયર સિટીઝનના જણાવ્યા અનુસાર, તેઓ વર્ષ 2024થી સતત આ નરકાગાર જેવી સ્થિતિ સામે લડત આપી રહ્યા છે. અગાઉ તત્કાલીન મેયર, મ્યુનિસિપલ કમિશનર, પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કક્ષાના અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. દર વખતે અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને માત્ર 'એસ્ટીમેટ તૈયાર કરીએ છીએ' અને 'મંજૂરી મેળવીશું' તેવા બહાના ધરીને ફાઈલો દબાવી રાખે છે. હદ તો ત્યાં થઈ કે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પણ ફરિયાદ કરાઈ હતી, ત્યાંથી આદેશ છતાં વડોદરાના ભ્રષ્ટ અને આળસુ તંત્રના પેટનું પાણી હલ્યું નથી.

25 વખત પાણીના સેમ્પલ લેવાયા પણ પરિણામ શૂન્ય: "હવે દિલ્હી સુધી જઈશ"

વૃદ્ધે તંત્ર પર આક્રોશ ઠાલવતા કહ્યું કે, "અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી અત્યાર સુધીમાં આશરે 25 વખત દૂષિત પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે. દરેક વખતે અધિકારીઓ માત્ર 'સમસ્યા હલ થઈ જશે' તેવા ઠાલા આશ્વાસનો આપે છે. હવે આ ખોટા વાયદા સાંભળીને હું કંટાળી ગયો છું. જો વડોદરાનું તંત્ર આ કામ નહીં કરે તો આ ઉંમરે પણ ન્યાય માટે દિલ્હી સુધી લડત આપવા તૈયાર છું."

જનતાની સમસ્યા સાંભળીને તેનું નિવારણ લાવવાના બદલે "તમારો લુકઆઉટ નથી" જેવા જવાબો મળતા હવે વડોદરાના સ્થાનિક રાજકારણમાં અને સોશિયલ મીડિયા પર નેતાઓ સામે લોકોનો ફિટકાર વરસી રહ્યો છે.