વડોદરા: જેતલપુર રોડ પર રાત્રે નીકળેલા વરઘોડામાં કોરોના ની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ

વડોદરા, તા. 22 જાન્યુઆરી
એક તરફ કોરોનાનો કહેર વધતા ચિંતાનો વિષય બન્યો છે તો બીજી તરફ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવી વરઘોડામાં ઝુમતા જાનૈયાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
વડોદરામાં કોરોના નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. પરિણામે તંત્ર સતર્ક બનવાની સાથે જરૂરી નિર્ણયો લઇ રહ્યું છે. ગઈકાલે કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન જણાતા તંત્ર દ્વારા શુક્રવારી બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બીજી તરફ શાકમાર્કેટ , મોલ , ચાર દરવાજા વિસ્તાર, મંગળ બજાર સહીતના બજારોમાં કોવિડ ગાઈડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન નજરે ન પડતા શુક્રવારી બજારના વેપારીઓએ એક તરફી નિર્ણય ગણાવતા વિવાદ સર્જાયો હતો. તેવામાં વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે જેતલપુર રોડ પર ઓર્કેસ્ટા બેન્ડ બાજા સાથે નીકળેલો વરઘોડો ચર્ચાનો વિષય બન્યો હતો. વરઘોડામાં બારાતીઓ ઓર્કેસ્ટાની ધૂનો પર કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી ઝૂમતા નજરે ચડ્યા હતા. જેમાં એકપણ વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય સોશીયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. જો કે બારાતની પોલીસ પરવાનગી લીધી છે કે કેમ તે પણ એક સવાલ છે.




