વડોદરા: છુટાછેડા માટે ઇનકાર કરતી પત્નિને લાફા ઝીકી ગળુ દબાવવાની કોશિશ કરી પતિ ફરાર

વડોદરા, તા. 17
લગ્નના દોઢ મહિના બાદ ઘરકંકાસથી કંટાળી પિયરમાં રહેતી પરિણીતાને સમાધાન માટે સયાજી બાગમાં બોલાવી પતિએ છૂટાછેડાના પેપર ઉપર સહી કરવા દબાણ કરી પત્નીને લાફા ઝીંકી ગળુ દબાવવાની કોશિશ કરી નાસી છૂટયો હતો. બનાવ સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 36 વર્ષીય ખ્રિસ્તી મહિલા સુનિતા બેનના લગ્ન વર્ષ 2021 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ આણંદ ના રહેવાસી મનુભાઈ ઉર્ફે મનીષભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ અવારનવાર ઘર કંકાસ થતાં મહિલા પિયરમાં રહેતી હતી. દરમિયાન ગઈકાલે સમાધાન માટે મહિલા તેના ભાઈ સાથે સયાજીબાગમાં પતિને મળવા પહોંચી હતી. વાતચીત દરમિયાન પતિએ છુટાછેડા ના પેપર ઉપર સહી કરવાનું જણાવતા પરિણીતાએ ઇનકાર કર્યો હતો. જેથી મહિલાના પતિએ અપશબ્દો બોલી, લાફા ઝીંકી, દુપટ્ટો ખેંચી ગળુ દબાવવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો.




