Gujarat

વડોદરા: મહી નદી ખાતે આવેલા દોડકા કુવા ની અને દોડકા શુદ્ધિકરણ પ્લાન્ટ ની લાઈનમાં લીકેજ થતાં તાત્કાલિક રીપેરીંગ માટે શટ ડાઉન લેવું પડ્યું

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
વડોદરા: મહી નદી ખાતે આવેલા દોડકા કુવા ની અને દોડકા શુદ્ધિકરણ પ્લાન્ટ ની લાઈનમાં લીકેજ થતાં તાત્કાલિક રીપેરીંગ માટે શટ ડાઉન લેવું પડ્યું

- સાંજે 325000  લોકોને પાણી નહીં મળે 

વડોદરા, તા. 18 ડિસેમ્બર, 2021, 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પીવાનું પાણી મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેન્ચથી મેળવે છે. જેમાં વર્ષોજૂના દોડકા કુવાની અને દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની લાઈનમાં સાંધામાં ભંગાણ પડતાં રીપેરીંગ માટે કોર્પોરેશનને આજે શટ ડાઉન લેવું પડ્યું છે . દોડકા કુવા ની 36 ઇંચ ડાયામીટર લાઈન તેમજ દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટની 24 ઇંચ ડાયામીટર લાઈન જ્યાં ભેગી થાય છે તે સાંધામાં ગઈકાલે ભંગાણ થતાં રાત્રે જ પાણી બ્લોક કરી દેવાયું હતું. પાણી નું નેટવર્ક એકબીજા સાથે જોડાયેલું હોવાથી કોર્પોરેશન એ દોડકા ઉપરાંત રાયકા તથા પોઇચા કૂવાને પણ બંધ કરવો પડ્યો હતો, કેમ કે જ્યાં સુધી પાણીની લાઈન ખાલી ન થાય ત્યાં સુધી રીપેરીંગ કે વેલ્ડીંગ થઈ શકે નહીં. દોડકા ના બે, પોઇચા ના છ અને રાયકા ના પાંચ મળીને કુલ ૧૩ પાણીના પંપ બંધ કરવા પડ્યા છે. સતત ચાલુ રહેતા પંપો બંધ થતાં આશરે સાડા પાંચ કરોડ લીટર પાણીની ઘટ પડી છે. જેની શહેરની આશરે 325000 વસ્તીને અસર થઈ છે. રીપેરીંગ કામ સવારે 10 વાગ્યાથી શરૂ કર્યું છે. જે લીકેજ છે ત્યાં વેલ્ડીંગ કરીને ઉપર પ્લેટ મારવામાં આવશે. રીપેરીંગ ને લીધે પોઇચા થી પાણી મેળવતી નોર્થ હરણી, સમા, કારેલીબાગ, આજવા ટાંકી, લાલબાગ ટાંકી, માંજલપુર અને સયાજીબાગ ટાંકી તથા એરપોર્ટ, વારસીયા ,ખોડીયાર નગર, જેલરોડ બુસ્ટર પરથી અને પોઇચા કૂવા પરથી પાણી મેળવતી ગોરવા, સુભાનપુરા ,વડીવાડી, અકોટા અને કલાલી ટાંકી પર થી તારીખ 18 ની સાંજ નું પાણી નહીં મળે. તારીખ 19મી ના રોજ સવારે ઝોનમાં પાણી મોડેથી અને લો પ્રેસરથી અપાશે.