વડોદરા જિલ્લો હવે સો ટકા ટેપ વોટર કનેક્ટેડ

વડોદરા, તા. 14 નવેમ્બર 2021 રવિવાર
વડોદરા જિલ્લાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારના રોજ વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્શન જાહેર કરશે. વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરાએ 2021માં જ સાકાર કરી લીધો છે.
‘હર ઘલ નલ સે જલ’ યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને રૂ. 8391.00 લાખની યોજનાઓ મારફતે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યુ છે.
વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કુવાના સ્ત્રોત આધારીત વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાના અંદાજીત રકમ રૂ.126.59 કરોડના કામો કરાયા છે. જેમાં મહી નદીનું પાણી વડોદરા તાલુકાના અનગઢ ગામે તથા ધનોરા ગામે મુખ્ય હેડવર્કસ ખાતે કુલ 46 એમ.એલ.ડી ક્ષમતાના જળ શુધ્ધીકરણ પ્લાન્ટમાંથી પીવાનું શુધ્ધ પાણી જુદા જુદા 4 હેડવર્કસ સુધી લઈ જવા માટે આશરે 151 કિલોમીટર પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવી છે. જેની કામગીરી પુર્ણ થયેલ છે. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને શુધ્ધ પીવાના પાણીનું લાભ મળનાર છે. જેનું લોકાર્પણ થશે.




