વડોદરા કોર્પોરેશનમાં મિલકતવેરાની 486 કરોડની આવકના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 467 કરોડની વસૂલાત

- વેરો વસૂલ કરવા અત્યાર સુધીમાં 18000 વોરંટ ઇસ્યુ કર્યા અને 6 હજારથી વધુ સીલ માર્યા
વડોદરા, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત વેરાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક બજેટમાં વધારીને 486 કરોડનો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આશરે 467 કરોડની આવક મળી ચૂકી છે. કોર્પોરેશન દ્વારા હવે ચાલુ નાણાકીય વર્ષમાં બાકી રહેલા 14 દિવસમાં લક્ષ્યાંક પૂરો કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. કોર્પોરેશને પ્રોત્સાહક વેરા વળતર યોજના અમલમાં મૂકી છે. જે 31 માર્ચ સુધી અમલી રહેશે. વેરા વળતર નો લાભ બાકી રહેલા દિવસોમાં લોકો લઇ શકે તે માટે કોર્પોરેશને આશરે 45 હજાર રિબેટ નોટિસો છપાવી છે, અને તે બાકીદારોને મોકલવામાં આવી રહી છે. જે એક પ્રકારની અવેરનેસ માટે છે. જેમાં બાકીદારોને રીબેટ યોજના નો લાભ લેવામાં આવે તો વ્યાજ સહિતની રકમમાં શું ફાયદો થાય છે તે દર્શાવીને યોજનાનો લાભલઇ વેરો ભરી દેવાનું કહેવાય છે. ત્રણ-ચાર દિવસમાં તમામને નોટીસો મળી જશે. દરમિયાન બાકી વેરો વસૂલ કરવા માટે કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ સીલ મારવામાં આવ્યા છે અને 18000 વોરંટ ઇસ્યુ કરાયા છે. વર્ષ 2022-23ના વર્ષમાં મિલકતવેરા આવકનો લક્ષ્યાંક વધારીને 503 કરોડનો કરવામાં આવ્યો છે.




