વડોદરા: રખડતાં ઢોરના પગલે વધુ એક અકસ્માતની ઘટના

વડોદરા, તા. 04
વડોદરા શહેરના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પસાર થતાં મોપેડ ચાલકને ગાય અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પાણીગેટ પોલીસે પશુ માલિકની અટકાયત કરી હોવાની માહિતી જાણવા મળી છે.
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. દિન-પ્રતિદિન રખડતા ઢોરો વાહનચાલકોને અડફેટે લઇ રહ્યા છે. પરિણામે તંત્રની ઢોર પકડવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આજે વધુ એક રખડતા ઢોરએ વાહન ચાલકને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે થી પોતાના ટુ વ્હીલર ઉપર પસાર થતા અસપાક શેખ નામના વ્યક્તિ ને ગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકના ટુ વ્હીલર ને નુકસાન પહોંચવાની સાથે યુવકને હાથમાં ઈજા પહોંચી હતી. આ સમયે પશુ માલિક ઘટનાસ્થળે હોય ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થળ પર દોડી ગયેલી પોલીસે પશુ માલિકની અટકાયત કરી હોવાની માહિતી સાંપડી છે. અત્રે નોંધનીય છે કે પશુ માલિકે મુખ્ય માર્ગ ઉપર ગાયો હંકારતા અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો ઈજાગ્રસ્ત યુવકે કર્યા છે.




