Gujarat

વડોદરા: ભાજપના બે આગેવાનોની લડાઈમાં ઈજનેરને રજા પર ઉતાર્યા: આકાર constructionને નોટિસ

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
વડોદરા: ભાજપના બે આગેવાનોની લડાઈમાં ઈજનેરને રજા પર ઉતાર્યા: આકાર constructionને નોટિસ

વડોદરા, તા. 23 ફેબ્રુઆરી 

વડોદરા શહેરના વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકીમાં પમ્પ બેસાડવા અંગેની કામગીરીનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાવી દીધા બાદ પણ પંપ લગાવવામાં નહીં આવતા ભાજપના કોર્પોરેટરે સમગ્ર સભામાં ઉગ્ર રજૂઆત કરી મુખ્યમંત્રી સુધી પ્રેઝન્ટેશન કરવાની મેયર ને ચીમકી આપી હતી તે બાદ મેયરએ સમગ્ર કિસ્સાની તપાસ કરતાં જવાબદાર કોન્ટ્રાક્ટર આકાર કન્સ્ટ્રકશનને નોટિસ આપી છે જ્યારે કામગીરીમાં વિલંબ કરનાર જવાબદાર અધિકારી જતન બધેકા પાસેથી પાણી પુરવઠા વિભાગનો ચાર્જ આંચકી લઈ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.

વડોદરા શહેરની નાલંદા પાણીની ટાંકી માં રૂ. 6.19 કરોડના ખર્ચે ચાર પંપ મૂકવાના કામ અંગે વર્ષ 2019 થી ટેન્ડર મંગાવવામાં આવી રહ્યું હતું પરંતુ છ વખત ટેન્ડર માં કોઈએ ભાગ લીધો નહીં જેથી અવારનવાર રીટેન્ડર કરવાની ફરજ પડી હતી.

છઠ્ઠી વખત આકાર કન્સ્ટ્રકશન નામના કોન્ટ્રાક્ટરે અંદાજીત ભાવ કરતાં 39.87 ટકા વધુ ના ભાવથી ટેન્ડર ભર્યું હતું ત્યારબાદ નાલંદા પાણીની ટાંકી પર પંપો મુકાઈ ગયા છે અને તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે પણ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે ખરેખર નવા પંપો બેસાડવામાં આવ્યા ન હતા અગાઉ ટેમ્પરરી બે પંપ મૂકવામાં આવ્યા હતા.

આ બાબત અંગે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એ બજેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યા બાદ પણ નાલંદા પાણીની ટાંકી પર પંપો મૂકવામાં આવ્યા નથી અને મુખ્યમંત્રી સુધી પ્રેઝન્ટેશન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારતા વડોદરાના મેયર સાથે જાહેરમાં સામ સામે આક્ષેપબાજી પણ થઈ હતી.

આ કિસ્સામાં મેયરએ સમગ્ર માહિતી મંગાવતા મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ પણ પંપ મૂકવામાં આવ્યા નથી તેની જાણકારી મેળવી હતી જે અંગે જવાબદાર અધિકારી સામે પગલા લેવા કમિશનરને જણાવ્યું હતું.

દરમિયાનમાં વહીવટીતંત્ર માંથી જાણવા મળતી માહિતી પ્રમાણે કામ અંગે વિલંબ કરવાની બાબતને ધ્યાનમાં રાખી મે. આકાર construction ને પણ નોટિસ આપી તેમને કિશોર પમ્પ કંપનીના પંપ ના સ્થાને એકવા મશીનરીના પંપો મુકવા માટે ની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી વિભાગના જતન બધેકા પાસેથી પાણી પુરવઠા વિભાગનો હવાલો પરત મેળવી લઈ તેઓનો હવાલો ભરત રાણા ને સુપ્રત કર્યો છે જ્યારે સ્ટ્રીટલાઈટ વિભાગનો હવાલો કૌશિક પરમાર ને આપ્યો હોવાનો હુકમ કરવામાં આવતા ભાજપના બે આગેવાનોની લડાઈમાં ઇજનેરનો ભોગ લેવાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.