Get The App

'ઉડાન' યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અદ્ધરતાલ, નવા 20 ઍરપૉર્ટના વાયદા પાછળ શું છે સત્ય?

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
'ઉડાન' યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અદ્ધરતાલ, નવા 20 ઍરપૉર્ટના વાયદા પાછળ શું છે સત્ય? 1 - image

UDAN Scheme Falters in Gujarat: સામાન્ય માણસને સસ્તી હવાઈ મુસાફરી કરાવવાના હેતુથી શરૂ કરાયેલી 'ઉડાન' (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના ગુજરાતમાં તો 'હવા-હવાઈ' સાબિત થઈ છે. જૂના 71 રૂટ પરની અદ્ધરતાલ જેવી ફ્લાઇટ્સને કેન્દ્ર સરકારે રન-વે પર લાવવાને બદલે નવા 20 ઍરપૉર્ટ અને 25 હેલીપેડના વાયદા સાથે આમઆદમીને સસ્તા ભાડામાં ફરી 'હવાઈ સફર' કરાવવાની જાહેરાત કરતાં આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે પહેલાથી ‘ઉડાન’ની મોટાભાગની ફ્લાઇટ્સ આજે પણ ‘ઉડે તો ઉડે' જેવી સ્થિતિમાં છે.

અંદાજે 50% ફ્લાઇટ બંધ 

'ઉડાન'એ ભારત સરકારની રીઝનલ કનેક્ટિવિટી સ્કીમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરીને સસ્તી બનાવવી અને દેશના નાના શહેરોને એરનેટવર્ક સાથે જોડવાનો છે. આ યોજના હેઠળ 500 કિમી (અંદાજે 1 કલાક)ની મુસાફરી માટે ભાડું 2500 રૂપિયાની આસપાસ સીમિત રાખવામાં આવ્યું છે. જે યોજનાનો પ્રારંભ ઓક્ટોબર 2016માં થયો હતો અને પ્રથમ ફ્લાઇટ એપ્રિલ 2017માં શિમલાથી દિલ્હી વચ્ચે શરૂ થઈ હતી. જો કે, તાજેતરના સંસદીય ડેટા મુજબ, દેશભરમાં અત્યાર સુધી શરૂ થયેલા 663 રૂટમાંથી 627 રૂટ (અંદાજે 50%) બંધ થઈ ચૂક્યા છે. 

ગુજરાતમાં એ જ સમયગાળામાં 71 રૂટ પર ફ્લાઇટ્સ શરૂ તો થઈ, પરંતુ મોટાભાગની એરલાઇન્સે 3 વર્ષની સબસિડી એટલે કે વિબિલિટી ગેપ ફંડિંગ' પૂરું થતાં જ પાંખો સંકેલી લીધી છે. 'કેગ'ના અહેવાલ મુજબ, ઉડાન યોજના હેઠળ શરૂ થયેલા રૂટમાંથી માત્ર 7%થી 10% રૂટ જ સબસિડી વગર ટકી શક્યા છે.

'ઉડાન' યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અદ્ધરતાલ, નવા 20 ઍરપૉર્ટના વાયદા પાછળ શું છે સત્ય? 2 - image

અમદાવાદ-દીવ, સુરત-દ્વારકા અને સાબરમતી-કેવડિયા સૌ-પ્લેન જેવા હાઇ-પ્રોફાઇલ રૂટ અત્યારે માત્ર કાગળ પર અથવા અનિયમિત અવસ્થામાં છે. એરલાઇન્સ કંપનીઓ સરકાર પાસેથી કરોડો રૂપિયાની સબસિડી મેળવે છે, અને જેવો સબસિડીનો કરાર પૂરો થાય, કે તરત જ 'ઓછી ડિમાન્ડ'નું બહાનું ધરી ફ્લાઇટ્સ બંધ કરી દે છે. ગુજરાતના કેશોદ, મુંદ્રા અને પોરબંદર જેવા ઍરપૉર્ટ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. એ નિષ્ફળતા છુપાવવા હવે કેન્દ્ર સરકારે  28.840 કરોડ રૂપિયાના ખર્ચે ‘ઉડાન 2.0' મોડિફાઇડ યોજના (ઉડાન 5.0 શ્રેણી) લોન્ચ કરી છે.

આ પણ વાંચો: ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ

ઉડાન શા માટે નિષ્ફળ?

•ઘણાં શહેરોમાં પૂરતા મુસાફરો ન મળવાને કારણે એરલાઇન્સ માટે ફ્લાઇટ ચલાવવી ખોટનો સોદો સાબિત થયો છે.

•એરલાઇન્સને માત્ર સરકાર પાસેથી મળતા વાયેબિલિટી ગેપ ફંડિંગ(સબસિડી)માં જ રસ છે. સબસિડી પૂરી થતાં સસ્તા ભાડા આર્થિક રીતે પોસાય તેમ નથી.

•નાની એરલાઇન્સ પાસે પૂરતા સ્પેરપાર્ટ્સ કે બેકઅપ વિમાનો નથી. એક વિમાન બગડે એટલે રૂટ ખોરવાય છે.

•નાના ઍરપૉર્ટ પર રાત્રિ લેન્ડિંગ કે ખરાબ હવામાનમાં ઉતરાણની સુવિધા ન હોવાથી ફ્લાઇટ્સ રદ થાય છે.