Gujarat

કતારગામમાં બિલ્ડીંગની ટેરેસનો ભાગ તૂટતા ત્રણ દટાયા, બેના મોતઃ 77ને રેસ્ક્યુ કરાયા

By GS Team
20 Mar 20223 mins read
This article was originally published on 20 Mar 2022
કતારગામમાં બિલ્ડીંગની ટેરેસનો ભાગ તૂટતા ત્રણ દટાયા, બેના મોતઃ 77ને રેસ્ક્યુ કરાયા

- બે માળની બિલ્ડીંગમાં પ્રાઇવેટ ડિમોલીશન વેળા ઘટના

- પહેલા માળે ઓનલાઇન ટ્રેડિંગ સેન્ટરમાં 77 લોકો કામ કરતા હતાઃ પાર્કિંગમા કાટમાળ પડતા 40થી વધુ વાહનોને નુક્સાન

સુરત,:

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગની અગાસીમાં આજે બપોરે પ્રાઇવેટ ડિમોલેશનની કામગીરી વખતે દિવાલ સહિતનો ભાગ તૂટી પડતા અફડાતફડી મચી ગઇ હ તી. ફાયર બ્રિગેડે કાટમાળમાં દબાયેલા ત્રણ વ્યક્તિને બહાર કાઢયા હતા જેમાં બેના મોત થઇ ગયા હતા. જ્યારે ઘટના બાદ ફફડી ગયેલા બિલ્ડીંગમાં રહેતા ૭૭ લોકોને સહીસલામત બહાર કઢાયા હતા. કાટમાળ પડતા ૪૦થી વધુ વાહનોને નુક્સાન થયું હતું.

કતારગામમાં કિરણ હોસ્પિટલ પાસે આવેલા જરીવાલા કમ્પાઉન્ડ ખાતે સ્ટેન્ડીંગ રીંગ ખાતે બે માળની બિલ્ડીંગની અગાસીની ઉપર આજે બપોરે પ્રાઇવેટ ડીમોલેશનનું કામ ચાલતુ  હતું. જયારે બિલ્ડિંગના પહેલા માળે ઓનલાઇન ટ્રેડીંગનું કામ ચાલતુ હતુ. તે સમયે અગાસીમાંથી દિવાલ સહિતનો ભાગ નીચે  પાર્કિગ એરીયા તથા પતરાના શેડ પર જોરદાર ધડાકા સાથે પડયો હતો. કોલ મળતા ચીફ ફાયર ઓફિસર બંસત પરીક સહિત ૧૦ અધિકારીઓ અને કતારગામ, ઘાંચી શેરી, કોસાડ ફાયર સ્ટેશનની ૩૦ ગાડીઓ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી ગઇ હતી.

કાટમાળ નીચે ત્રણ લોકો દબાઇ ગયા હતા. તેમને બહાર કઢાયા  હતા. પણ બે વ્યક્તિ રોહિત રાજુ રાઠોડ (ઉ-૨૦, રહે.કતારગામ) અને સમીર મતીઉલ્લા મનીયાર (ઉ-૩૧, રહે.હલીમશા બાવાનો ટેકરો, નવસારીબજાર)ને સ્મીમેરમાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા. તાહીર મોહમંદ એલી (ઉ-૧૯)ને સામાન્ય ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના બની ત્યારે પહેલા માળે ઓનલાઇન ટ્રેડિંગ સેન્ટરમાં ૭૭ લોકો કામ કરી રહ્યા હતા. ઘટનાને પગલે તમામ ફફડી ઉઠયા હતા. તમામને લાશ્કરોએ સહીસલામત બહાર કાઢયા હતા. કાટમાળ પડતા ૩૦થી ૪૦ ટુ-વ્હીલર અને ત્રણ કારને નુક્સાન થયુ ંહતું.

 - ટેમ્પો પર મજૂરી કરતા 20 વર્ષનો રોહિત રાઠોડ પાણીના બોટલો લેવા ગયો ત્યારે બનેલી ઘટનામાં જીવ ગુમાવ્યો

સુરત :

કતારગામમાં રહેતો 20 વર્ષીય રોહિત રાજુ રાઠોડ પાણીના ટેમ્પા પર મજુરી કામ કરતો હતો. આજે બપોરે તે જરીવાલા કમ્પાઉન્ડમાં પાણીના બોટલ લેવા આવ્યો હતો. ત્યારે ટેરેસની દિવાલ સહિતનો ભાગ તુટીને પડતા રોહિત કાટમાળ નીચે દબાય જતા મોતને ભેટયો હતો. તે બે બહેનનો એકનો એક ભાઇ હતો. જયારે આ બનાવમાં મોતને ભેટલો સમીનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ઓનલાઇન ટ્રેડીંગ સેન્ટરમાં નોકરી કરતો હતો.

 - કાટમાળ ખસેડતા ઉછળેલા પથ્થરથી ફાયર ઓફિસરને ઇજા


કતારગામમાં જરીવાલા કમ્પાઉન્ડમાં બિલ્ડીની અગાસીની દિવાલન સહિતનો ભાગ તુટીને નીચે પડયો હોવાથી જે.સી.બી મશીન વડે કાટમાળ ખસેડવાની કામગીરી વેળા અચાનક પથ્થર ઉછળતા ઘાંચીશેરી ફાયર સ્ટેશનના ઓફિસર મહેશભાઇ પટેલના ડાબા પગે ઘૂંટણાં વાગતા ઇજા થતા મસ્કતી હોસ્પિટલમાં ત્રણ ટાંકા લેવાયા હતા.

 - છ જેસીબી મશીન વડે કાટમાળ ખસેડતા ચાર કલાક લાગ્યા

કતારગામમાં જરીવાલા કમ્પાઉન્ડમાં બિલ્ડીની અગાસીની દિવાલનો ૪૦થી૫૦ ફુટ લાંબા ભાગ સહિતનો સ્લેબ તુટીને નીચે પડયો હતો. જેથી ૬ જે.સી.બી મશીન વડે કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. દબાઇ ગયેલા ત્રણ વ્યકિત, ૩૦થી૪૦ ટુ વ્હિલ અને કારને બહાર કઢાયા હતા. સતત ચાર કલાક સુધી કાટમાળ ખસેડવાની કામગીરી જારી રહી હતી. સદ્ભાગ્યે તેની નીચેથી અન્ય કોઇ વ્યક્તિ મળી નહોતી.