Gujarat

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન

By GS TEAM
6 Mar 20263 mins read
TukuTouch Logo
રસમીમાંસા 2026 હેઠળ ઇટ્રા ખાતે આયુર્વેદ દવાઓ માટે દેશભરમાંથી પધારશે રસશાસ્ત્રીઓ-તજજ્ઞો : 1956થી અત્યાર સુધીના રસશાસ્ત્રના વિદ્યાર્થીઓની ઍલ્યુમનાઈ મીટ પણ યોજાશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન

Jamnagar : ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગર ખાતે 6 અને 7 માર્ચ 2026 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ "રસમીમાંસા 2026" નું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ તા.7 અને 8 માર્ચના રોજ ધન્વંતરી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય “આયુરસવાદોત્સવ 2026”થી એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો યોજવામાં આવશે. વર્ષ 1956 થી અત્યાર સુધી રસશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઍલ્યુમનાઈ મીટ પણ યોજાશે અને ઇટ્રાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, સંગીત અને અભિનય આધારીત તરંગમ 3.0 કાર્યક્રમ રજૂ થશે. 

તા.6 માર્ચના સવારે 10 વાગ્યે પી.એમ.મહેતા ઓડિટોરિયમ ખાતે રસમીમાંસા 2026 રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં જામનગર દેવભૂમિ દ્વારા જિલ્લાના માનનીય સાંસદ પૂનમબહેન માડમ મુખ્ય અતિથિ તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી રાજેશ કોટેચા રહેશે. તેમજ તા.7 માર્ચના સવારે 10 વાગ્યે ધન્વંતરિ મેદાન ખાતે ઇટ્રા સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના શ્રી કૃષણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત વિભૂષિત શ્રી કૃષ્ણમણીજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે થશે. તેમજ જામનગરના માનનીય કલેકટર કેતન ઠક્કર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમો ભારત સરકારના આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવના માર્ગદર્શન હેઠળ અને ઇટ્રા ખાતેના ડાયરેક્ટર પ્રો.તનુજા નેસરીના વડપણ હેઠળ યોજવામાં આવશે. રસમીમાંસા રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં દેશના ખ્યાતનામ આયુર્વેદ વૈદ્યો અને રસશાસ્ત્રીઓ ખાસ હાજરી આપશે અને ભાવી રણનીતિ તૈયાર કરશે. 

આઈ. ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો.તનુજા નેસરી જણાવે છે કે જામનગર ખાતે એક નોખા અનોખા બે પ્રસંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં એક રસમીમાંશ હેઠળ રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજાશે. જેનો ઉદેશ્ય સંશોધન પ્રગતિ, સલામતી મૂલ્યાંકન, નિયમનકારી દ્રષ્ટિકોણ, હર્બોમિનરલ, મેટાલોમિનરલ આયુર્વેદિક ફોર્મ્યુલેશનના ફાર્માકોવિજિલન્સ પાલનને પ્રતિનિધિઓ અને વૈજ્ઞાનિક સમુદાય સુધી પહોંચાડવાનો છે. આ પરિષદમાં આઈ.આઈ.ટી. અને નિપેર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ, સંશોધન પરિષદ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાઓના નિષ્ણાતો, પ્રખ્યાત વિદ્વાનો, સંશોધકો, શિક્ષણવિદો, ઔદ્યોગિક વ્યક્તિઓ, સમકાલીન નિષ્ણાતો અને દેશભરના ક્લિનિશિયનો 300 થી વધુ ભાગીદારી સાથે એકત્ર થશે. આ પ્રસંગે સંશોધકો દ્વારા રજૂ થયેલા સંશોધન પત્રો અને પોસ્ટરો પ્રકાશિત થશે, જેથી તજજ્ઞોની ચર્ચાઓ થકી વૈજ્ઞાનિક સમુદાયને સંદેશાઓ અને તારણો વ્યાપકપણે પહોંચાડી શકાય. 

રસૌષધિની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા પર કેન્દ્રીયકૃત આ રાષ્ટ્રીય કક્ષાની કૉન્ફરન્સમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે અને પધ્ધતિથી ચાલતા વિવિધ સેસનમાં તજજ્ઞો અને ભાવી પેઢીનો સંગમ થશે અને જેથી આયુર્વેદ ક્ષેત્રે રસૌષધિની કામગીરી, પ્રક્રિયા, ગુણવત્તા સહિત અનેક બાબતો પર નૂતન પરિણામો પ્રાપ્ત થશે. 

બીજો અગત્યનો કાર્યક્રમ જામનગર ખાતે કાર્યરત આ.ટી.આર.એ. ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે તા.7 અને 8 માર્ચના રોજ ધન્વંતરિ મેદાન ખાતે એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદના સિધ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે. સાથો સાથ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ આધાર પર ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ:વેચાણ પણ ઉપલબ્ધ હશે. 

30 હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ. સી. ડોમ અને 32 પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં 52 જેટલા સ્ટોલ હશે, 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ સ્વાસ્થ્યની દિવાનગી જગાવશે. લાઈવ ફૂડ આઈટમ, પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાઓ, આયુર્વેદ રેસીપી, કોસ્મેટીક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ હશે. જેમાં આઈ.ટી.આર.એ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કર્યું છે તેઓની ચીજવાસ્તુઓનું વેચાણ પણ ઉપલબ્ધ હશે. 

આ એક્સ્પો ભારત સરકારના વિવિધ પ્રકલ્પ વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર ઘર સ્વદેશી, સ્કીલ ઇન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ, શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવશે. 

આ દરમિયાન ડબલ્યુએચઓ જી.ટી.એમ.સી.ની એક પ્રદર્શન ગેલેરી હશે, જયાં ગેલેરીમાં વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિતસાઓની માહિતી અને રોચક બાબતો વિષે મુલાકાતીઓને સ્થાનિક સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવશે. રસશાસ્ત્રની રાષ્ટ્રીય પરિષદના સંયોજક તરીકે પ્રો.બી.જે.પાટગીરી તેમજ એક્સપોના સંયોજક તરીકે પ્રો.જોબન મોઢા જવાબદારી નિભાવશે.