Gujarat

ગભેણી ચોકડી પાસે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
ગભેણી ચોકડી પાસે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

- મંગળવારે બપોરે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ન્હાવા પડયા હતા

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

સુરતના સચિન વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલા તળાવમાં સોમવારે બપોરે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ન્હાવા પડેલા બે બાળકો ડુબી જતા પરિવાર, પોલીસ અને ફાયર જવાનો દોડતા થયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આજે સવારે ફરીથી બાળકોની શોધખોળ શરુ કરતા બંને બાળકોના મૃતદેહ મળ્યા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉન પાટીયા ભીંડીબજાર સિદ્દીકનગર ખાતે રહેતા આબિદ અમજદખાન પઠાણ ( ઉ.વ.13) અને અજમેર નસીમ અન્સારી ( ઉ.વ.14 ) સોમવારે બપોરે સ્કુલેથી ઘરે આવ્યા બાદ ગભેણી ચોકડી પાસેના તળાવમાં ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજે પણ બંને ઘરે નહી આવતા તેમના પરિવારજનોએ શોધખોળ કરતા તેમના મિત્રોએ બંને તળાવ તરફ ગયા હોવાનુ જણાવ્યું હતું.આથી પરિવારજનોએ તળાવ પાસે તપાસ કરતા ત્યાં કિનારેથી બંનેના કપડા મળી આવ્યા હતા. બનાવ અંગે ગતરાત્રે પોણા નવ વાગ્યાના આરસામાં પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર હિતેશ પાટીલે સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી જઈ રાત્રે દસેક વાગ્યા સુધી શોધખોળ કરી હતી. પરંતુ બંને બાળકોનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

દરમિયાન, આજે સવારે સાડા નવ વાગ્યે ફરી ફાયર બ્રિગેડે બોટ લઈને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તરવૈયાને તળાવમાં ડુબકી મારી શોધખોળ કરતા બંનેના મૃતદેહ મળી આવતા બહાર કાઢ્યા હતા.