Gujarat

દાંડિયા બજાર ખાતે આવેલ રામજી મંદિરમાં ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો

By GS Team
15 Nov 20212 mins read
This article was originally published on 15 Nov 2021
દાંડિયા બજાર ખાતે આવેલ રામજી મંદિરમાં ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો

ભરૂચ: દાંડિયા બજાર સ્થિત રામજી મંદિર દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રામજી મંદિર ખાતે દેવઉથી અગિયારસના રોજ પટેલ પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર વિવાહની વિધિ જાણીતા કર્મકાંડી હિરેન મહારાજે કરાવી હતી.યોજાયેલ તુલસી વિવાહમાં મંગલફેરા,કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ પત્રકાર અને પટેલ પરિવારના સચિન પટેલ તેમજ તેમના ધર્મપત્ની દીપાલી પટેલે કરાવી હતી.


તુલસી વિવાહ પાછળની કથા

તુલસીનું બીજું નામ વૃંદા. પૌરાણીક કથા અનુસાર જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું અને અસુર રાક્ષસ જલંધર હણાયો હતો.જેને લઈ સતીવૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો, જલંધરની પત્ની સતીવૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપમાં આવી ગયા હતા.સતી વૃંદા (તુલસી) નો શ્રાપ સાંભળી દેવ, ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ ભગવાનની માફી માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા. માટે તેમને આશીર્વાદ આપ્યા કે, તમે તુલસીનાં છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ, ત્યારે તમારી સાથે લગ્ન કરીશ તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ (પથ્થર) સ્વરુપે પ્રગટ થયા અને તુલસી છોડ તરીકે અવતરણ પામ્યા, બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યા. ભગવાન વિષ્ણું તુલસીનાં પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.