Get The App

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા 1 - image

- તંત્ર દ્વારા સિટી બસો માટે સ્ટેન્ડની ફાળવણી ન કરાતા

- ટ્રાફિકનું નિયમન કરવામાં તંત્ર નિષ્ફળ : સિટી બસો માટે અલગથી સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

નડિયાદ : નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ અને સંતરામ રોડને જોડતા શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય માર્ગ પર સિટી બસો માટે સ્ટેન્ડની ફાળવણી ન કરાતા ચાલકો જાહેર રસ્તાની વચ્ચે જ બસો ઉભી રાખી રહ્યાં છે. આ આડેધડ પાર્કિંગના કારણે માર્ગ સાંકડો થઈ જતા વાહનચાલકો અને મુસાફરોએ દરરોજ ભારે ટ્રાફિકજામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નડિયાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન વિસ્તારમાં સિટી બસોના અવ્યવસ્થિત પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ અને સંતરામ રોડ તરફ જવા માટેના મુખ્ય માર્ગ પર સિટી બસો રસ્તાની વચ્ચે જ ઉભી રાખવામાં આવતી હોવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા બસો માટે કોઈ ચોક્કસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં ન આવતા ચાલકો પોતાની મરજી મુજબ માર્ગ પર બસો થોભાવી રહ્યા છે, જેના કારણે સ્ટેશનની બહાર નીકળતા મુસાફરો અને અન્ય વાહનચાલકો દરરોજ ટ્રાફિકમાં ફસાય છે.

રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ તરફ જતો આ રસ્તો શહેરનો હાર્દ સમાન માર્ગ ગણાય છે. સ્ટેશન તરફ જવા અને ત્યાંથી પરત ફરવા માટે આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવા છતાં અહીં ટ્રાફિકનું નિયમન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું જણાય છે. સિટી બસો માર્ગની બિલકુલ વચ્ચે ઉભી રહેતી હોવાથી રસ્તો સાંકડો થઈ જાય છે. ખાસ કરીને ટ્રેન આવવાના સમયે જ્યારે મુસાફરોનો ધસારો વધે છે ત્યારે સ્થિતિ વધુ કફોડી બને છે. સ્થાનિકોની રજૂઆત છે કે, જો બસો માટે અલગથી સ્ટેન્ડ ફાળવવામાં આવે તો જ આ કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. હાલમાં તો સાંકડા બનેલા રસ્તા પરથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.