Get The App

વડોદરામાં અકોટા-દાંડિયા બજાર બ્રિજ બંધ હોવાથી જેલ રોડ પર પીક અવર્સમાં સફાઈ કામગીરીથી ટ્રાફિક જામ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં અકોટા-દાંડિયા બજાર બ્રિજ બંધ હોવાથી જેલ રોડ પર પીક અવર્સમાં સફાઈ કામગીરીથી ટ્રાફિક જામ 1 - image

Vadodara Traffic Jam : બુલેટ ટ્રેનની કામગીરી શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય બ્રિજ સમાન અકોટા દાંડિયા બજાર બ્રિજ બંધ છે. તેને કારણે જેલ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. ત્યારે પિક અવર્સમાં જ પાલિકાએ જેલ રોડ પર ગઈકાલે બપોરે 12 વાગ્યાના સુમારે રસ્તાની સાફ સફાઈ મશીનરી વડે ચાલુ કરતા ટ્રાફિક સમસ્યા વધુ કફોડી હતી. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનની કામગીરીના કારણે અને શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા એવા અગત્યના  

અકોટા-દાંડિયા બજાર બ્રિજ કેટલાક દિવસ સુધી બંધ રહેવાના કારણે શહેરના મુખ્ય ટ્રાફિક પર મોટી અસર પડી રહી છે. જોકે આ બ્રિજ બંધ થવાથી વધારાનો ટ્રાફિક ટાળવાના વિકલ્પ રૂપે સાત અલગ અલગ રૂટ નક્કી કરાયા છે જેમાં વાહન ચાલકો યોગા સર્કલ, ગાય સર્કલ સહિતના જુદા જુદા સાત પોઇન્ટ બનાવ્યા છે. અકોટા-દાંડિયા બજાર બ્રિજ બંધ થતા વાહન વ્યવહારને જેલ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે પહેલેથી જ આ માર્ગ પર વાહનોની સંખ્યા વધીને ભારે ટ્રાફિક જામની સ્થિતિ દિવસ દરમિયાન અવારનવાર સર્જાઈ હતી. લોકો પોતાના રોજિંદા કામકાજ માટે સમયસર પહોંચી શકે તે માટે આ ડાયવર્ઝન જરૂરી હતું. પરંતુ યોગ્ય આયોજનના અભાવે સમસ્યા વધુ વિકરાળ બની ગઈ.

જ્યારે પાલિકા તંત્રના અણગઢ આયોજનના કારણે ગઈકાલે બપોરે લગભગ 12 વાગ્યાના અરસામાં પાલીકા તંત્ર દ્વારા જેલ રોડ પર રસ્તાની સાફ-સફાઈ માટે મશીનરી ઉતારવામાં આવી. આ સમય ટ્રાફિક માટે પીક અવર્સ ગણાય છે. જ્યારે વાહનોની અવરજવર સૌથી વધુ હોય છે. આવા સમયે સફાઈ કામગીરી શરૂ થતાં માર્ગ વધુ સાંકડો બની ગયો અને વાહનોની લાઈનો લાંબી લાંબી થઈ ગઈ. પરિણામે લોકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું અને મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો.

 સ્થાનિક લોકોએ પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે કે ટ્રાફિક ડાયવર્ઝન ચાલતું હોય ત્યારે આ પ્રકારની કામગીરી રાત્રે અથવા ઓછા ટ્રાફિકના સમયમાં કરવી જોઈએ. યોગ્ય આયોજન અને સમયની સમજણના અભાવે નાગરિકોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જરૂરી છે કે સંબંધિત તંત્ર સંકલન સાથે કાર્ય કરી ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવે અને આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં ભરે.