Vadodara : વડોદરામાં અકોટા-મુજમહુડા રોડ પર ગોકળગતિએ ચાલતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે વેપાર ધંધાને અસર પહોંચતા વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી છે.
અકોટા-મુજમહુડા રોડ પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલતી ગોકળગતીની કામગીરીના કારણે વેપાર ધંધાને માઠી અસર પહોંચતા વેપારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. આ મુદ્દે વેપારીઓએ એકત્ર થઈ કોર્પોરેશનના કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો.
વેપારીઓએ કહ્યું હતું કે, કામ ચાલતું હોય તો વાંધો નથી, પરંતુ બે મહિનાથી રસ્તો બંધ રાખીને કોઈ કામ જ નહીં કરવું એ યોગ્ય નથી. માર્ગ બંધ રહેતા ગ્રાહકોની અવરજવર ઘટી છે, જેના કારણે વેપારમાં મોટો ઘટાડો નોંધાયો છે અને દુકાનોનું ભાડું ચૂકવવું મુશ્કેલ બન્યું છે.
કોન્ટ્રાક્ટર તરફથી ગેસ લાઈન નડતરરૂપ બનતાં કામગીરીમાં વિલંબ થતો હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે વેપારીઓએ આ કારણને નકારી કાઢતા તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો 10 એપ્રિલ સુધીમાં ડ્રેનેજ કામ પૂર્ણ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન શરૂ કરશે.


