મ્યુનિ.દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ,૧૨ માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભ-૨૦૨૨નો વડાપ્રધાન મોદી આરંભ કરાવશે

અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022
અમદાવાદ મ્યુનિ.દ્વારા ૧૨ માર્ચથી શરુ થઈ રહેલા ખેલ
મહાકુભ-૨૦૨૨ માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર
મોદી શહેરના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શરુ થનારા ખેલ મહાકુંભનો આરંભ કરાવશે.આ માટે
મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ સ્ટેડીયમ પહોંચી
તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.
કોરોના મહામારી બાદ બે વર્ષ બાદ રાજયમાં ખેલ મહાકુંભ યોજાવા
જઈ રહ્યો છે.૧૨ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ
ખાતેથી આ ખેલ મહાકુંભનો આરંભ કરાવશે.આ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઉચ્ચ
અધિકારીઓ દ્વારા સરદાર પટેલ સ્ટેડીયમની મુલાકાત લઈ ખેલ મહાકુંભને લઈ કરવામાં આવી
રહેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલ અને
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણને ખેલ મહાકુંભને લઈ સ્ટેડીયમમાં આયોજિત
કાર્યક્રમ સંબંધી તૈયારીઓ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.આ બંને અધિકારીઓએ
સ્ટેડીયમની મુલાકાત લીધી હતી.સ્ટેડીયમમાં રંગ-રોગાન ઉપરાંત રોડ રિસરફેસની કામગીરી
તથા સાફ સફાઈ અંગે તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી
હતી.
વડાપ્રધાન અમદાવાદ આવવાના હોવાથી કોઈ પણ પ્રકારની શરતચૂક ના
રહી જાય એ માટે મ્યુનિ.તંત્ર તરફથી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.તંત્ર તરફથી
સ્ટેડીયમ અને તેની આસપાસના વિસ્તારમાં કયાંય રોડ ઉપર દબાણ જોવા ના મળે એ માટે
અત્યારથી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.




