સુરત: દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો

અમરોલી વિસ્તારમાં જાહેર રસ્તા પરના દબાણ દૂર કરવા માટે ગયેલી પાલિકાની ટીમ સાથે દબાણ કરનારાઓ નું ઘર્ષણ
સુરત, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરનારાઓ માથાભારે તત્વો પોલીસ કે એસઆરપીને પણ ગાંઠતા નથી. પાલિકાએ આજે કતારગામ વિસ્તારમાં રસ્તા પરના દબાણ દૂર કરવા માટે એસઆરપી અને પોલીસની મદદ લીધી હોવા છતાં માથાભારે તત્વોએ પાલિકાની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં અમરોલી ચાર રસ્તા પર થતા દબાણ ટ્રાફિક માટે ભારે ન્યુસન્સ રૂપ છે. આ વિસ્તારમાં દબાણ હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. વારંવાર પાલિકા આ વિસ્તારમાંથી દબાણો દૂર કરતા હોવા છતાં માથા ભારે દબાણ કરનારાઓ ફરીથી દબાણ કરી દે છે. આજે સુરત પાલિકાના કતારગામ ઝોને પોલીસના બંદોબસ્ત સાથે અને સરકારે પાલિકાને ફાળવેલી એસઆરપીની ટુકડી સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

શરૂઆતમાં પાલિકા તંત્રએ દબાણ દૂર કરવા સાથે રસ્તા પર ઊભી રહેલી લારીઓ જપ્ત કરી હતી. આલા વીઓ પાછી લેવા માટે કેટલાક માથાભારે તત્ત્વોએ પાલિકાની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.

જોકે પથ્થરમારામાં પાલિકાના કોઈપણ કર્મચારીને ઇજા થઇ નથી. પથ્થરમારા અંગેની જાણ અમરોલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને પથ્થરમારા કરનાર આમાંથી એક વ્યક્તિને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીના લોકો ભાગી ગયા હતા.




