Hit-and-Run In Viramgam: અમદાવાદ જિલ્લાના નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે (24મી એપ્રિલ) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કમીજલા અને વનથળ ગામ વચ્ચે એક પીકઅપ વાનચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયો અકસ્માત!
મળતી વિગતો અનુસાર, આ અકસ્માત આજે સવારે અંદાજે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે સર્જાયો હતો. મૃતકો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના રહેવાસી હતા. તે લખતરથી બાઈક પર વિરમગામ તરફ જઈ રહ્યા હતા. બાઈક અને બોલેરો પીકઅપ બંને એક જ દિશામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પીકઅપ વાન ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 30 થી 35 વર્ષની ઉંમરના એક પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: મારું જો જો... વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારોએ 'પાર્ટી' સાઈડમાં મૂકી 'પોતાની' દુકાનો ખોલી!
ઘટનાસ્થળેથી ચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ
ગોઝારો અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક માનવતા નેવે મૂકી પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. વિરમગામ પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


