ડિંડોલી ખરવાસા રોડની સોસાયટીમાં ત્રણ ઘરોના તાળા તૂટ્યા : રૂ.3.94 લાખની ચોરી

- નિંદ્રાધીન પરિવારને નિશાન બનાવી તસ્કરોએ ત્રણેય ઘરમાં ઘરનો દરવાજાનો અને ગ્રીલનો નકુચો તોડી ચોરી કરી
સુરત, : સુરતના ડિંડોલી ખરવાસા રોડની ઓમનગર પાટીદાર વિભાગ 02 સોસાયટીમાં ગતરાત્રે ત્રાટકેલા તસ્કરોએ નિંદ્રાધીન પરિવારને નિશાન બનાવી ત્રણ ઘરના દરવાજાનો અને ગ્રીલનો નકુચો તોડી બે ઘરમાંથી રોકડા રૂ.1.75 લાખ અને રૂ.2.19 લાખના સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.3.94 લાખની ચોરી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી ખરવાસા રોડની ઓમનગર પાટીદાર વિભાગ 02 સોસાયટી ગલી નં.12 ઘર નં.696 માં પત્ની અને બે બાળકો સાથે રહેતા તેમજ વરાછા હીરાબાગ ખાતે ડાયમંડમાં નોકરી કરતા 43 વર્ષીય કનુભાઇ મણીલાલ પટેલ ગતરાત્રે જમી પરવારીને પરિવાર સાથે પહેલા માળે સુઈ ગયા હતા. આજે મળસ્કે ચાર વાગ્યે ટિફિન બનાવવા માટે તેમના પત્ની હેતલબેન નીચે આવ્યા તો દરવાજા અને ગ્રીલનો નકુચો તૂટેલો હતો. તેમણે બૂમ પાડતા કનુભાઇએ નીચે દોડી જઈ તપાસ કરી તો ઘરની અંદર વચ્ચેના રૂમમાં મુકેલા લોખંડના કબાટને ખોલી તિજોરી ખોલી રોકડ અને સોનાચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.

કનુભાઇએ આજુબાજુના રહીશોને જાણ કરતા નજીકમાં જ ઘર નં.692 માં રહેતા મહેશભાઈ કરશનભાઇ પટેલ અને ઘર નં.691 માં રહેતા કેવલભાઈ જીણાભાઇ પટેલના ઘરમાં પણ દરવાજા અને ગ્રીલનો નકુચો તૂટેલો હતો. જોકે, તે પૈકી મહેશભાઈના ઘરમાંથી તસ્કરોએ રોકડા રૂ.25 હજાર અને ધનતેરસના ડબ્બામાં મુકેલા ચાંદીના સિક્કાની ચોરી કરી હતી. જયારે કેવલભાઈને ત્યાં ઓટોલોક હોય તેઓ તાળું કાપી નહીં શકતા તેમને ત્યાં સફળતા મળી નહોતી. તસ્કરો બંને ઘરમાંથી રોકડા રૂ.1.75 લાખ અને રૂ.2.19 લાખના સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.3.94 લાખની મત્તા ચોરી ગયા હતા. ચોરી અંગે કનુભાઇએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેમાં નજરે ચઢતા એક શંકાસ્પદ ટુ વ્હીલરના આધારે તપાસ હાથ ધરી છે.




